વિશ્વમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે તો આ તરફ ભારતમાં ખાસ કરીને કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે ત્યારે આજરોજ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે જે વિસ્તારમાં રહે છે ત્યાં તેમના માતોશ્રી બંગલા પાસે ચાની કીટલી ધરાવતા એક શખ્સને કોરોના પોઝિટિવ આવતા રાજ્યનું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર
રાજ્યના મુખ્યમંત્રીના નિવાસસ્થાન નજીક ચા વેચતા શખ્સને કોરોના
સમગ્ર વિસ્તાર સીલ
પ્રાપ્ત થતી વિગત અનુસાર, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના નિવાસસ્થાન માતોશ્રી નજીક ચા વેચતા શખ્સને કોરોના પોઝિટિવ આવતા માતોશ્રીવાળા વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ શખ્સને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવ્યો હતો અને હાલ તેની સારવાર ચાલી રહી છે.
રાજ્યમાં 30 હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે જ તૈયાર કરાઇ
સરકારે કેન્દ્ર સરકારની સલાહને ધ્યાને લઇને રાજ્યમાં 30 હોસ્પિટલને ખાસ કરીને કોરોના વાયરસના દર્દીઓના ઇલાજ માટે તૈયાર કરી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, આ દવાખાનાઓમાં 2305 પથારીની વ્યવસ્થા કરવામાં આવશે.
કોરોનાનો દર છઠ્ઠો દર્દી મહારાષ્ટ્રનો
મહારાષ્ટ્ર પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે કોરોના વાયરસના 31 માર્ચ પહેલાના કેટલાક આંકડાનું તારણ કાઢ્યુ છે. જેમાં તેઓ જણાવે છે કે કેવી રીતે અલગ અલગ ઉંમરના વર્ગના લોકો આ વાયરસનો શિકાર બની રહ્યા છે.
મહારાષ્ટ્રમાં 30 માર્ચ સુધી કુલ દર્દી આવ્યા હતા. તેમાંથી 21થી 30 વર્ષના 46 દર્દી, 31થી 40 વર્ષના 47 દર્દી, 41થી 50 વર્ષના 48, 51થી 60 વર્ષના 31 દર્દી, 61થી 75 વર્ષના 25 તો 1થી 10 વર્ષના 7 દર્દીઓ હતા. જેનાથી એ સ્પષ્ટ થયું છે કે મહારાષ્ટ્રમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના તમામ ઉંમરના લોકો તેનો ભોગ બન્યા છે.
મુંબઇની ધારાવીમાં કોરોનાનો દર્દી
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને બુધવારે સાંજે મુંબઇના ઘારાવીમાં કોરોના વાયરસથી સંક્રમિત એક શંકાસ્પદ દર્દીની માહિતી મળી હતી. આ દર્દીને લેવા માટે પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
ધારાવીના જે વિસ્તારમાં આ દર્દી મળ્યો હતો ત્યાં હજારોની સંખ્યામાં ઝૂપડપટ્ટીઓ છે. એવામાં આ વિસ્તારમાં સંક્રમણ ફેલાતા જોખમને જોતા અધિકારીઓની વચ્ચે હડકંપની સ્થિતિ બનેલી છે.
દેશમાં કોરોનાને કારણે 109 લોકોના મોત
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી સોમવારે જાહેર કરાયેલા આંકડો મુજબ, ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 4067 કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કુલ 109 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે કુલ 292 કોરોના ગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ્ય થયા છે. દેશમાં ગત 24 કલાકમાં જ 505 દર્દીઓ સામે આવ્યા છે.