દેશ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છઓ ત્યારે કેટલાક સિનિયર ટેક્સ ઓફિસરોએ સરકારને 1 કરોડથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોના ટેક્સમાં વધારો કરવાનું સૂચન કર્યું હતું હતું. આ સાથે જ વિદેશી કંપનીઓ પર લાગતા ટેક્સમાં પણ વધારો કરવા જણાવ્યું હતું. ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ(IRS)એસોસિયેશનએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સેસ(CBDT)ના ચેરમેન પીસી મોદીને FORCE(ફિસ્કલ ઓપ્શન એન્ડ રિસ્પોન્સ ટૂ ધ કોવિડ-19 એપેડેમિક)નામથી પ્રસ્તાવ મોકલી આપ્યો હતો. જો કે, સરકારે તેને ગેરવ્યાજબી ગણાવતા આવા અધિકારીઓ સામે તપાસના આદેશ આપ્યા છે.
અમીરો પર 40 ટકા ટેક્સ લગાડવાનું સૂચન ભારે પડ્યું
વણમાગી સલાહ બદલ શરૂ થઇ તપાસ
ઉલ્લેખનીય છે કે, નાણામંત્રાલયે આ સૂચનને ખોટું ગણાવ્યું હતું. એટલું જ નહીં આઇઆરએસ એસોશિયેસન દ્વારા પોતાના ટ્વીટર એકાઉન્ટ પર અને વેબસાઇટ પર આ પત્ર મુકવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.
અધિકારીઓ પાસે માગ્યો ખુલાસો
આ સાથે જ આ ઘટનાને ખોટું આચરણ ગણાવીને સરકારે આ તમામ અધિકારીઓ પાસેથી ખુલાસો માગ્યો હતો અને અધિકારોનું આ બેજવાબદારી ભર્યું વર્તન હોવાનું પણ ઠેરાવ્યું હતું. આ સાથે જ ઇન્કમ ટેક્સ વિભાગે આ મામલે તપાસ પણ હાથ ધરી હતી.
50 IRS અધિકારીઓએ તૈયાર કર્યો હતો પત્ર
આ પેપર 50 IRS અધિકારીઓએ સાથે મળીને તૈયાર કર્યું છે. તેમનું સૂચન છે કે, સુપર રિચ લોકો પર 2 પ્રકારે ટેક્સ લગાવી શકાય છે. 1 કરોડથી વધુ વાર્ષીક આવક ધરાવતા લોકોને સુપર રિચ કેટગરીમાં રાખવામાં આવ્યા છે. અત્યારે તેમના પર 30 ટકાથી વધારીને 40 ટકા કરવાની વાત કરવામાં આવી છે.
હાલમાં 3 થી 6 મહિના માટે લાગૂ કરવામાં આવે તેવી કરી હતી વાત
IRS એસોસિએશનના પેપરમાં એવા પણ સૂચનો છે જેનો અમલ ફક્ત થોડા સમય માટે કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈની આવક 1 કરોડથી વધુ છે, તો 30 ની જગ્યાએ 40% ટેક્સ રેટ લાગુ કરવો જોઇએ. જેમની આવક 5 કરોડથી વધુ છે, તેમના માટે ફરીથી સંપત્તિ વેરો લાગુ થવો જોઈએ. હાલમાં તે 3-6 મહિના માટે લાગૂ કરી શકાય છે.