GST લાગુ થયા પછીના 4 વર્ષમાં ગુજરાતની કેટલીક બોગસ પેઢી અને વ્યક્તિઓએ 2500 કરોડ રૂપિયાની કરચોરી આચરી, 65 લોકોની કરાઈ ધરપકડ
રાજ્યમાં ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના કિસ્સા વધ્યા
રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં 2500 કરોડની કરચોરી ઝડપાઈ
GSTના 4 વર્ષમાં રાજ્યમાં 2500 કરોડની કરચોરી ઝડપાઈ
GSTના અમલીકરણને ચાર વર્ષનો સમય થયો છે. ત્યારે GST કૌભાંડમાં ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના કિસ્સા સૌથી વધારે જોવા મળી રહ્યા છે. અને આ ચાર વર્ષના સમયમાં ગુજરાતમાં GSTમાં કરોડોની કરચોરી કરાઇ છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં ચાર વર્ષમાં 2500 કરોડની કરચોરી કરવામાં આવી છે.
રાજ્યમાં અનેક કૌભાંડીઓએ ગરીબોના નામે બોગસ પેઢીઓ બનાવીને તેના દ્વારા બોગસ બિલિંગના કૌભાંડ આચર્યા હતાં. રાજ્યમાં ચાર વર્ષમાં જીએસટી કૌભાંડના કુલ 705 જેટલા કેસ સામે આવ્યા છે. અને સ્ટેટ જીએસટી વિભાગે આ કૌભાંડોમાં 65 વ્યક્તિઓની ધરપકડ કરી છે. જીએસટી અમલના ચાર વર્ષ બાદ પણ હજુ કરદાતાઓ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
GSTમાં હજી પણ એપલેટ ટ્રિબ્યુનલની રચના થઈ નથી. જેના કારણે કરદાતાઓ એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે છે. સરકારે જુલાઈ 2017થી એપ્રિલ 2021 સુધી રિટર્ન ફાઇલ ના કરનારાને લેટ ફી માફી આપી છે પરંતુ જેમના રજિસ્ટ્રેશન રદ કરાયા છે તેમના રજિસ્ટ્રેશન ફરી રિસ્ટોર થતાં નથી તે પણ મોટી સમસ્યા છે. નવા રજિસ્ટ્રેશનમાં પણ ઘણો લાંબો સમય લાગે છે તે પ્રક્રિયા પણ સુધારવાની માંગ પ્રેક્ટિશનરો કરી રહ્યા છે.