દ્વારાકાધીશ ભગવાન શ્રીકૃષ્ણના જગતમંદિરની ધજા દિવસમાં 5 વખત બદલવામાં આવે છે. ધજા ચઢાવવાની વિધી અબોટી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતી હોય છે.
ગુજરાતને ઘમરોળી રહ્યું છે વાવાઝોડું
દ્વારકાધીશ મંદિરમાં અડધી કાઠીએ રાખવામાં આવી ધજા
વાવાઝોડાના કારણે પાંચ વખત ધજા બદલવાની પ્રથા ન કરાઇ
ગુજરાત પર તૌકતે વાવાઝોડું આફત બનીને તૂટી પડ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. સૌરાષ્ટ્ર બાદ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતને ઘમરોળીને વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધવાનું છે ત્યારે લોકોને પોતાના ઘરોમાં રહેવા જ અપીલ કરવામાં આવી છે.
દ્વારકાધીશ મંદિરમાં અડધી કાઠીએ રાખવામાં આવી ધજા
સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડાના કારણે સૌથી વધારે અસર દેખાઈ છે ત્યારે દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં ધજાને અડધી કાઠીએ રાખવામાં આવી છે. નોંધનીય છે કે જગતમંદિરની ધજા દિવસમાં 5 વખત બદલવામાં આવે છે. ધજા ચઢાવવાની વિધી અબોટી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતી હોય છે.
દિવસમાં પાંચ વખત બદલવામાં આવે છે ધજા
સામાન્ય દિવસોમાં જગતમંદિરની ધજા દિવસમાં 5 વખત બદલવામાં આવે છે એટલે કે, દિવસમાં 5 વખત મંદિર પર ચઢીને અબોટી બ્રાહ્મણો આ વિધી કરતા હોય છે. પરંતુ વર્તમાન વાવાઝોડાની પરિસ્થિતિના કારણે દ્વારાકામાં પણ ભારે પવનની શક્યતાઓ છે. આ કારણે ધજા બદલવાની વિધીમાં મુશ્કેલી પડી શકે છે. દ્વારાકાના પ્રાંત અધિકારી નિહાર ભેટરીયાએ આ વિશે જણાવ્યુ કે, અબોટી બ્રાહ્મણો દિવસમાં પાંચ ધજાઓ બદલતા હોય છે પરંતુ વાવાઝોડાની સ્થિતિને લઈને દ્વારાકાધીશ મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવવાની સૂચના અપાઈ છે.
ગુજરાત પર ત્રાટક્યું તૌકતે
ગઇકાલે રાતથી જ ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા બાદ વાવાઝોડું આખા રાજ્યને ઘમરોળી રહ્યું છે. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ટક્કર મારી અને તેજીથી ગુજરાતમાં આગળ વધ્યું. સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. આખી રાત દીવમાં અતિભારે વરસાદ વરસતો રહ્યો. ગુજરાત પર તૌકતે આફત બનીને ત્રાટક્યું છે. કોરોના વાયરસના સંકટની વચ્ચે તૌકતે વાવાઝોડું તબાહી બનીને આવ્યું છે, ઉનાથી ગુજરાતમાં દાખલ થયેલા વાવાઝોડાએ અમરેલી, દીવ, જૂનાગઢ, ગીર સોમનાથમાં સૌથી વધારે તારાજ જોવા મળી હતી. આખી રાત રાજ્યના કેટલાય જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો હતો જ્યારે મહુવા સહિત આખા ભાવનગરમાં પણ આ જ પરિસ્થિતિ હતી.
વાવાઝોડાએ વેર્યો વિનાશ
વાવાઝોડાના કારણે આખા સૌરાષ્ટ્રમાં વિનાશ વેરાયો છે. સૌરાષ્ટ્રમાં હજારો વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા જ્યારે હોર્ડિંગ્સ હોર્ડિંગ્સ અને પેટ્રોલ પંપના શેડ ઊડી ગયા હતા. રાજુલા, વેરાવળ તથા ઉનામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા જ્યારે કેટલી જગ્યાઓ પર વીજ પોલ પણ ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. રાજ્યમાં આશરે 2 લાખ લોકોનું વાવાઝોડાના કારણે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
40 હજાર વૃક્ષો પડ્યા, ગામોમાં વીજળી ગૂલ
CM રૂપાણીએ આપેલ માહિતી મુજબ ગુજરાતમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની માહિતી આપતા કહ્યું કે અગાઉ કરવામાં આવેલ તૈયારીના કારણે મોટી દુર્ઘટના થઈ નથી પરંતુ 2 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. સીએમ રૂપાણીએ કહ્યું કે વાવાઝોડાના કારણે 40 હજાર વૃક્ષો ધરાશાયી થયા છે જ્યારે 1081 થાંભલાઑ પણ પડી ભાંગ્યા છે, વાવાઝોડાના કારણે 196 રસ્તાઓ બંધ થઈ ગયા હતા જ્યારે 2437 ગામમાં વીજ પુરવઠો કપાયો છે જેમાંથી 484 ગામમાં ફરીથી વીજળી પહોંચવા લાગી છે.
રાજુલામાં 175 કિમીની ઝડપે ફૂંકાયો પવન
નોંધનીય છે કે સોમવારે રાજ્યમાં પ્રવેશ બાદ ધીમે ધીમે વાવાઝોડાની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે. વેરાવળ અને સોમનાથમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. વાવાઝોડા સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. સોમનાથ બાદ સૌથી વધારે નુકસાન રાજુલા અને જાફરાબાદમાં થી છે. રાજુલાથી સાવરકુંડલા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો અને વૃક્ષો પડી જતાં રાજુલાથી ભાવનગરનો રસ્તો પણ બંધ હતો. રાજુલામાં 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉના અને ગીરમાં અનેક ગામો સંપરવિહોણા બન્યા છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં 130 કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળી હતી.