તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં સૌરાષ્ટ્ર બાદ અમદાવાદને હચમચાવી નાંખ્યું હતું.
વાવાઝોડાએ અમદાવાદમાં કરી વ્યાપક અસર
1998 પછી અમદાવાદમાંથી ફરી એકવાર વાવાઝોડું પસાર થયું
એક હજાર જેટલા વૃક્ષો પડી ગયા, રસ્તા બેસી ગયા, મકાન ધરાશાયી થયા
1998 પછી ફરી એકવાર અમદાવાદમાંથી કોઈ વાવાઝોડું પસાર થયું
તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર બાદ અમદાવાદમાં સૌથી વધારે અસર પહોંચાડી હતી. વર્ષ 1998 બાદ અમદાવાદમાંથી કોઈ વાવાઝોડું પસાર થયું. અમદાવાદમાં શહેરમાં વાવાઝોડાના કારણે 6 ઈંચ વરસાદ ખાબક્યો. 60થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા અને હોર્ડિંગ્સ પણ પડી ગયા હતા. વાવાઝોડાના કારણે એક હજાર જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને ભારે વરસાદના કારણે 3 જગ્યાઓ પર રોડ બેસી ગયા. પાલડી વિસ્તારમાં છત પડી જવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. વાવાઝોડાના કારણે વાસણા બેરેજના 6 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા અને હવે નુકસાનને પહોંચી વળવા માટે તંત્ર કામે લાગ્યું છે.
અમદાવાદમાં તૌકતેનો તરખાટ
તૌકતેની અસર અમદાવાદમાં પણ જોવા મળી. સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ તૌકતે અમદાવાદ આવ્યું હતું. જો કે તેની ઝડપ ઓછી હતી પરંતુ શહેરમાં અનેક જગ્યાએ હોડિંગ્સ તુટી પડ્યા હતા. ક્યાંક પતરા ઉડ્યા હતા તો વૃક્ષો પણ ધરાશાયી થવાને કારણે રોડ બ્લોક થયો હતો. પરિમલ ગાર્ડન તથા કાંકરિયા સુધી ઘણું નુકસાન થયું છે.
વાવાઝોડાથી રાજ્યમાં 19 લોકોના મોત
બે દિવસ સુધી તૌકતે વાવાઝોડાએ આખા ગુજરાતને ઘમરોળ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. સૌરાષ્ટ્રમાં ખેતીમાં પણ ખૂબ નુકસાન થયું છે જ્યારે અમદાવાદ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સંપત્તિનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડાના કારણે 19 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે અમુક લોકો લાપતા હોવાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.
ગુજરાતમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ
વાવાઝોડાના કારણે ગુજરાતમાં પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગુજરાતભરમાં 60 હજારથી વધારે વૃક્ષો તથા 70 હજારથી વધારે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. 16 હજારથી વધારે કાચા-પાકા મકાનો પણ પડી ગયા. 200થી વધારે રોડને નુકસાન થયું જ્યારે 200થી વધારે ટ્રાન્સફોર્મર પણ ખોટકાઈ ગયા હતા.
મહૂવામાં મહાવિનાશ!
તૌકતે વાવાઝોડાનું રાજ્યમાં જે સ્થળોએ સૌથી વધારે સંકટ હતું તેમાં ભાવનગર જિલ્લાનું મહૂવા પણ હતું. મહૂવા શહેરની સાથે સાથે તેના ગામડાઓમાં તૌકતેએ મોટો વિનાશ વેર્યો છે. ભારે પવન સાથે સતત વરસાદ અને 120 કિલોમીટરથી વધુ ઝડપે ફૂંકાઈ રહેલા પવનથી કેટલાય હોડિંગ્સ, વૃક્ષો ધરાશાયી થઈ ગયા.