દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાના સંપાદન માટે બોલી લગાવવાનો આજે છેલ્લો દિવસ હતો. સરકારે 2017 થી જ એર ઇન્ડિયાની હરાજી કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ કંપનીઓએ રસ દાખવ્યો ન્હોતો.
એર ઇન્ડિયાના સંપાદન માટે ટાટા સન્સે બોલી લગાવી
ટાટા સન્સે લગાવી બોલી
ખોટ કરતી સરકારી એરલાઇન એર ઇન્ડિયાના સંપાદન માટે ટાટા સન્સે બોલી લગાવી છે. કંપનીના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. તો સામે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઇપીએએમ) એ માહિતી આપી હતી કે એર ઇન્ડિયાના સંપાદન અંગે રુચિ પત્ર પ્રાપ્ત થયો હતો. આ સાથે પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
DIPAM ના સચિવ તુહીનકાંત પાંડેએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતિ. તેમણે જણાવ્યું હતું કે ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે સોમવારે સમયમર્યાદા પહેલા જ રુચિ પત્ર રજૂ કરી દીધો હતો. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે તેને એર ઇન્ડિયાના હસ્તાંતરણ માટે અનેક પ્રસ્તાવો મળ્યા છે.
આજે છેલ્લો દિવસ હતો
15 સપ્ટેમ્બર બોલી લગાવવાનો છેલ્લો દિવસ હતો. એર ઈન્ડિયાને વેચવાની પ્રક્રિયા જાન્યુઆરી 2020 માં જ શરૂ કરવામાં આવી હતી, પરંતુ કોરોના મહામારીના કારણે તે સતત વિલંબમાં જ પડી રહી હતી. એપ્રિલ 2021 માં, સરકારે ફરી એક વાર પાત્ર કંપનીઓને બોલી લગાવવાનું કહ્યું. વર્ષ 2020 માં પણ ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના હસ્તાંતરણને લઈને રસ દર્શાવતો પત્ર આપ્યો હતો.
સરકારે 2017 થી જ એર ઇન્ડિયાની હરાજી કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ ત્યારબાદ કંપનીઓએ રસ દાખવ્યો નહીં. નવા નિયમો હેઠળ, લોનની જોગવાઈ અને નિયમો પણ હળવા કરવામાં આવ્યા હતા જેથી માલિકીની કંપનીએ બધુ જ દેવું સહન ન કરવું પડે. અને ઓક્ટોબરમાં સરકારે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOL) ના નિયમોમાં છૂટછાટ આપી હતી, જેને પગલે કેટલીક કંપનીઓએ દેવામાં ડૂબેલ એર ઇન્ડિયા ખરીદવામાં રસ દર્શાવ્યો હતો.
67 વર્ષ પછી 'ઘર વાપસી
જો સરકારની ટાટા સાથેની ડીલ કન્ફર્મ થઈ જાય તો એરલાઈન્સ 67 વર્ષ પછી 'ઘર વાપસી' કરી શકે છે. ટાટા જૂથે ઓક્ટોબર 1932 માં ટાટા એરલાઇન્સ નામથી એર ઇન્ડિયા શરૂ કરી હતી, જેને 1953 માં ભારત સરકારે હસ્તગત કરી હતી.
તમને જણાવી દઈએ કે આ એરલાઇન્સની સ્થાપના ટાટાએ 1932 માં મેલ કેરિયર તરીકે કરી હતી. હવે જે પણ કંપની તેની માલિકી ધરાવશે, તેને દેશમાં 4400 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ, 1800 આંતરરાષ્ટ્રીય લેન્ડિંગ અને પાર્કિંગની જગ્યા મળશે. નોંધપાત્ર છે કે એર ઇન્ડિયા 2007 માં ડોમેસ્ટિક ઓપરેટર ઇન્ડિયન એરલાઇન્સ સાથે મર્જર કર્યા પછીથી ખોટ કરી રહી છે.