ટાટા સ્કાય દેશની સૌથી વધુ લોકપ્રિય ડીટીએચ સર્વિસ આપતી કંપની છે. કંપની પાસે ખૂબ મોટો ગ્રાહકવર્ગ છે. Tata Skyના ગ્રાહકો માટે સારાં સમાચાર છે. ટાટા સ્કાય ગ્રાહકોનું મંથલી બિલ ઘટાડવા માટે 15 જૂનએ એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. બિલ ઓછું કરવા માટે કંપની ચેનલો અથવા પેકની સંખ્યામાં ઘટાડો કરશે. 70 લાખ સબસ્ક્રાઈબર્સ માટે કંપની આ ફેરફાર કરવાની છે.
ટાટા સ્કાયના ગ્રાહકો માટે સારાં સમાચાર
લોકડાઉનમાં સબસ્ક્રાઈબર ઘટતા કંપનીએ લીધો નિર્ણય
હવે મંથલી બિલ ઘટાડવા કંપની કરશે આ ફેરફાર
કંપની કસ્ટમર્સને ડાયરેક્ટ-ટૂ-હોમ પ્લેટફોર્મથી જોડીને રાખવા માટે આ ફેરફાર કરવાની છે. ટાટા સ્કાયએ 350 રૂપિયા અથવા તેનાથી ઓછાં બિલની ચૂકવણી કરનાર ગ્રાહકોને આકર્ષવા માટે આ નિર્ણય લીધો છે. લોકડાઉનને કારણે છેલ્લા 2 મહિનામાં 15 લાખ ગ્રાહકોએ ટાટા સ્કાયની સર્વિસ લેવાનું બંધ કરી દીધું છે. તેઓ પોતાના સબસ્ક્રીપ્શનને રિન્યૂ કરાવી શક્યા નહીં, કારણ કે ગ્રાહકોને લાગે છે કે, ટાટા સ્કાયની સર્વિસ ખૂબ જ મોંઘી છે.
નવું કન્ટેન્ટ ન હોવાને કારણે દર્શકોનો ઈન્ટરસ્ટ ઘટી રહ્યો છે
ત્યારે મેમાં ટાટા સ્કાયની વેબસાઈટ અથવા એપ પર લોગ ઈન કરનાર 50 લાખ સબસ્ક્રાઈબરમાંથી લગભગ 70 ટકા લોકોએ બિલ ઓછું કરવા માટે ઓછી ચેનલો લેવાનું શરૂ કર્યું છે. નવું કન્ટેન્ટ અને લાઈવ સ્પોર્ટ્સ ન હોવાને કારણે દર્શકોનો ઈન્ટરસ્ટ ઘટી રહ્યો છે. આ સિવાય કોરોના મહામારીને કારણે પણ ઘણાં ગ્રાહકોને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો છે. જેની અસરથી પણ લોકો રિચાર્જ નથી કરાવી રહ્યાં.
મેમાં 5 લાખ લોકોએ રિચાર્જ નથી કરાવ્યું
ટાટા સ્કાયના એમડી હરિત નાગપાલે જણાવ્યું કે માર્ચમાં 10 લાખ ઇનએક્ટિવ ગ્રાહકો અમારા પ્લેટફોર્મ સાથે પાછા જોડાયા હતા. જોકે, એપ્રિલમાં 10 લાખ જતા રહ્યા અને ત્યારબાદ મે મહિનામાં 5 લાખ લોકોએ રિચાર્જ કરાવ્યું નહીં. તેમણે કહ્યું કે, વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે, ગ્રાહકોને ચૂકવણી કરવામાં સમસ્યા થઈ રહી છે. જેથી ગ્રાહકોને ગુમાવવા કરતાં અમે કેટલાક પેક અને ચેનલોને ઘટાડી દઈશું. જેથી તેમનું માસિક બિલ ઘટી જશે. ટાટા સ્કાયના 1.80 કરોડ સબસ્ક્રાઈબર છે. કંપનીએ જણાવ્યું કે, આ ફેરફારથી 60-70 લાખ સબસ્ક્રાઈબરને તેનો ફાયદો થશે. તેઓ મંથલી બિલમાં 60થી 100 રૂપિયાની બચત કરી શકશે.