ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે ત્યારે ઘણા બધા લોકો સારવાર વિના જપોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હવે મોટી કોવિડ હોસ્પિટલો બનાવવા માટે કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં યુનિવર્સિટી હૉલમાં 900 બેડની હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે જે બાદ હવે ગાંધીનગરમાં ટાટા ટ્રસ્ટ દ્વારા 1200 બેડની હોસ્પિટલ ઊભી કરવામા આવશે જેમાં 600 બેડ ICUના હશે.
અમિત શાહે કરી હતી જાહેરાત
કોરોના વાયરસ સામે લડવાં માટે ઘણી બધી સંસ્થાઓ આજે લડી રહી છે ત્યારે ટાટા દ્વારા બનાવવામાં આવી રહેલી હોસ્પિટલમાં સંપૂર્ણ ખર્ચ પણ ટાટા ટ્રસ્ટ દ્વારા જ ઉઠાવવામાં આવશે. ટાટાના આ ભગીરથ કામની સોશ્યલ મીડિયામાં સરાહના કરવામાં આવી રહી છે ત્યારે સાથે સાથે ઉદ્યોગપતિઓ પણ રતન ટાટાના વખાણ કરી રહ્યા છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા તે સમયે તેમણે આ મુદ્દે જાહેરાત કરી હતી.
ગોવિંદ ધોળકિયાએ કહ્યું આપણે પણ આગળ આવીએ
સુરતના ઉદ્યોગપતિ ગોવિદ ધોળકિયાએ રતન ટાટાની ખૂબ પ્રશંસા કરી અને તેમને સાચા અર્થમાં દેશના રતન ગણાવ્યા છે. તેમણે અન્ય ઉદ્યોગકારોને આગળ આવવા માટે અપીલ કરી હતી. ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે ગુજરાતી તરીકે રતન ટાટા જેમ આગળ આવ્યા છે તેમ આપણે પણ શીખ લઈ બધા ઉદ્યોગપતિઑએ આ કોરોનાકાળમાં સમાજને આપવું જોઈએ.
આપણે લોકોને બચાવી લેવા જોઈએ : ધોળકિયા
ગોવિદ ધોળકિયાએ કહ્યું કે ગુજરાત અને દેશ પર અત્યારે જે મુશ્કેલી આવી છે ત્યારે આપણે બધા આગળ આવીને નિર્ણય લેવા જોઈએ અને જેટલા લોકો બચી શકે તે બધાને બચાવી લેવા જોઈએ.
ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ
ભારતમાં કોરોના વાયરસની ઘાતક લહેર દિવસેને દિવસે વધારે લોકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે ત્યારે આજે કોરોના વાયરસના નવા 3,46,786 કેસ સામે આવ્યા છે જ્યારે એક દિવસમાં કુલ 2,624 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.