આ વેદના દેશના એ ભાવિ શિક્ષકોની છે કે જેમણે આજથી બે વર્ષ પહેલા શિક્ષક અભિયોગ્યતા કસોટી પાસ કરી લીધી હતી પરંતુ સરકારે જાણે કે તેમને શિક્ષકને લાયક સમજ્યા જ નથી. રોજગારી માટેની અસીમ શક્યતા ધરાવવાની દુહાઈ વચ્ચે ગુજરાતના પાટનગરમાં જ રાજ્યના નાગરિકો સરકારી નોકરી માટે સરકાર સામે ઝઝૂમી રહ્યાં છે.
(પ્રતિકાત્મક તસ્વીર)
કહેવાય છે કે શિક્ષક (teacher) ક્યારેય સાધારણ નથી હોતો. પરંતુ હાલ ગુજરાતમાં શિક્ષકોની ભરતીનો મુદ્દો સરકાર માટે અસાધારણ થઈ ગયો છે. છેલ્લા 2 વર્ષમાં ટાટ-એક અને ટાટ-બે માટે સરકારે 13 હજાર 825 જગ્યા મંજૂર તો કરી દીધી છે પરંતુ ભરતી કરવાનું સરકારને હજુ સુધી મુહૂર્ત મળતું નથી. શિક્ષક અભિયોગ્યતા કસોટીઓ (teacher eligibility test) પાસ કર્યા બાદ પણ રાજ્યના અનેક યુવાનો શિક્ષકની નોકરીથી વંચિત છે. ત્યારે કેવી હોય છે તેમની વેદના તે જોઈએ અમારા આ અહેવાલમાં.
આ વેદના દેશના એ ભાવિ શિક્ષકોની છે કે જેમણે આજથી બે વર્ષ પહેલા શિક્ષક અભિયોગ્યતા કસોટી પાસ કરી લીધી હતી પરંતુ સરકારે જાણે કે તેમને શિક્ષકને લાયક સમજ્યા જ નથી. રોજગારી માટેની અસીમ શક્યતા ધરાવવાની દુહાઈ વચ્ચે ગુજરાતના પાટનગરમાં જ રાજ્યના નાગરિકો સરકારી નોકરી માટે સરકાર સામે ઝઝૂમી રહ્યાં છે. છેલ્લાં બે વર્ષથી તેમના મનમાં ઘૂંધવાતો રોષ આજે પાટનગરના દ્વારે સૂત્રોચ્ચાર બની ગૂંજી ઉઠ્યો.
નોકરી વાંચ્છુ ઉમેદવારોની ગાંધીનગરના દ્વારા ખખડાવવા પડે તેવી સ્થિતિઃ
ટાટ 1-2 પરીક્ષાઓ પાસ થયેલા અનેક ઉમેદવારો કે જેઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી કરવાના હોય છે તેની ભરતી છેલ્લાં બે વર્ષથી થઈ નથી. જેથી નોકરી વાંચ્છુ ઉમેદવારો દ્વારા ગાંધીનગરના દ્વારા ખખડાવવા પડે તેવી સ્થિતિ આજે સર્જાઈ છે. સરકાર દ્વારા વર્ષ 2017માં પરીક્ષાના ફોર્મ ભરાયા પછી 2018માં પરીક્ષા લેવાઈ હતી પણ પેપર લીક થવાના કારણે પરીક્ષા કેન્સલ કરી દીધી હતી. એ પરીક્ષા ફરીથી જાન્યુઆરી-2019 લેવામાં આવી હતી. એ પરીક્ષાના પરિણામો પણ આવી ગયાને આજે ઘણો સમય થઈ ગયો છે. પરંતુ સરકારને શિક્ષકોની ભરતી (Recruitment) કરવાનું મુહૂર્ત મળ્યું નથી.
ગાંધીનગરમાં જુના સચિવાલય ખાતે એકઠા થયેલા આ ટાટ અને ટેટ નોકરી વાંચ્છું ઉમેદવારો સાથે સંગીત, કોમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષકની લાયકાત ધરાવતા ઉમેદવારો પણ જોડાયા હતા. કેમ કે ન્યાયની સૌ કોઈને આશા હોય છે અને તેમનો હક હોય છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારની સંખ્યા અંદાજે 1.35 લાખ જેટલી છે..! પરંતુ છેલ્લાં બે વર્ષથી ટાટ અને ટેટ પાસ ઉમેદવારોની ભરતી થઈ નથી. ઉમેદવારોનો એવો આક્ષેપ છે કે, છેલ્લાં 2 વર્ષમાં ટાટ એક અને બે માટે 13 હજાર 825 જગ્યા મંજૂર કરાઇ છે છતા પણ હજુ સુધી કોઇ ભરતી નથી કરાઇ. વિદ્યાર્થીઓ પાસ છે પરંતુ મેરિટ લિસ્ટમાં અટવાઈ જાય છે અને આ તરફ બીએડ અને PTCના વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.
ઉમેદવારો ભરતીથી વંચિત ને બીજી બાજુ સરકાર દ્વારા પ્રાઇવેટ સ્કૂલોને મંજૂરી!
માત્ર ઉમેદવારોને ભરતીની સમસ્યા જ સતાવી રહી છે તેવું નથી. પરીક્ષા અંગેના કેટલાક નિયમોથી પણ ઉમેદવારો ગુંચવણમાં મુકાયા છે અને એ દરેક સમસ્યાને વ્યક્ત કરવા આજે તેઓ અહીં ભેગા થયા છે. PTC અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ 1થી5ના શિક્ષક બનવાની જ પરીક્ષા આપવાની હોય છે. જ્યારે બીએડ થયેલા ઉમેદવારોએ 6થી9ના શિક્ષક બનવા માટે પરીક્ષા આપવાની હોય છે. પરંતુ પરીક્ષા માટેના ચોક્કસ નિયમો સ્પષ્ટ ન થવાના કારણે 1થી 5 અને 6થી 9ના શિક્ષક બનવા માટે બન્ને લાયકાતના ઉમેદવારો પરીક્ષા આપે છે અને આ તરફ સરકાર પ્રાઈવેટ સ્કૂલોને મંજૂરી આપે છે એટલે શિક્ષકો ફાજલ પડી રહ્યા છે. ઉમેદવારોનો રોષ ખાળવાની ચાલ રૂપે ભરતીની મંજૂરી પર મહોર મારી દેવાય છે પરંતુ પછી ભરતી કરાતી નથી.
સરકારને શિક્ષકોની ભરતી કરવાનું મુહૂર્ત મળે કે ન મળે. પરંતુ આવી અનેક સમસ્યાઓથી ઘેરાયેલા આ ભાવિ શિક્ષકોએ આજે મુહૂર્ત કાઢી જ લીધું તેઓ કાગળ પર અને બેનર પર પોતાની માગણીઓનું એક લાંબુ લિસ્ટ લઈને પહોંચી ગયા જૂના સચિવાયલ ખાતે. તેમની સમસ્યા તમે જાણી લીધી પરંતુ તેમની માંગ પણ જાણી લો કે તેમની માગણી એવી છે કે, ધોરણ- 9થી 12માં શિક્ષકોની ભરતી કરવી. ભરતી વધુમાં વધુ ક્રમિક અને ઝડપી કરવી. મંજૂર થયેલી જગ્યા તાત્કાલિક ધોરણે ભરવી. TAT ભરતી પ્રક્રિયા ઝડપી કરવી. સંગીતના શિક્ષકોની પણ ભરતી કરવી. હવે હમણાં રાજ્યમાં કોઈ ચૂંટણી આવી રહી નથી કે સરકાર નીતિગત નિર્ણયો લઈ ન શકે તેવો કોઈ માહોલ પણ નથી ત્યારે હવે જોવાનું એ રહેશે કે, સરકાર આ દિશામાં ક્યારે નિર્ણય લે છે.