‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનની વાપસીને લઈને સસ્પેન્સ હજુ યથાવત છે. આ રોલ ભજવતી એક્ટ્રેસ દિશા વાકાણીએ દિકરીને જન્મ આપ્યા પછી છેલ્લા દોઢ વર્ષથી શોમાંથી પણ ગાયબ છે. ત્યારે હવે તે પરત ફરશે તેની કોઇ શક્યતા લાગી રહી નથી, ત્યારે શોના પ્રોડ્યુસર ઓનલાઇન વોટિંગ દ્વારા દર્શકોના મત જાણશે કે તે તેઓ દયાબેન તરીકે કોણે જોવા માંગે છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, ''અત્યારે દયાબેન વિશે બોલવુ થોડું અઘરું છે. આ એક પ્રક્રિયા છે. હું ઓનલાઈન દર્શકો પાસેથી મત માગીશ કે તેઓ દયાબેનના રોલમાં કોને જોવા માગે છે. અમે એજ નિર્ણય લઇશું તેને દર્શકો પસંદ કરશે. જોકે આ માટે થોડો સમય છે. હજુ થોડા એપિસોડ દયાબેન વગર બતાવવા પડશે. જોકે હુ ચોક્કસથી કહુ છું કે શોમાં દયાભાભી પરત ફરશે.''
અસિત મોદીએ વાતચીતમાં કહ્યું કે, ''મને વિશ્વાસ છે કે અમે જે પણ નિર્ણય કરીશું, દર્શકો તેના પર વિશ્વાસ કરશે. જોકે હજુ સુધી કઇ નક્કી નથી. પરંતુ શક્યતા કંઇ પણ હોય શકે છે. અમને સારા આર્ટિસ્ટ જોઇએ છે. દયા ભાભી સીરિયલની હિરોઇન છે. જો તે પરત ફરશે તો સોનામાં સુગંધ ભળશે.''
દિશા વાકાણીને વાપસીને લઇને અસિત મોદીએ કહ્યુ કે, ''હું તેમને રિકવેસ્ટ કરુ છુ કે તે શોમાં પરત ફરે. અમારા દર્શકો પણ તેમ જ ઇચ્છે છે. આ શો અમારો નહીં દર્શકોનો છે. અમારે આશા રાખવી જોઇએ, પરંતુ જો તે પરત ફરવા નથી માગતી તો શો મોટો છે, કોઇના માટે શો રોકાતો નથી.''
ઉલ્લેખનીય છે કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દયાબેનના કેરેક્ટરને રિપ્લેસ કરવા માટે સૌથી પહેલા અમી ત્રિવેદીનુ નામ સામે આવ્યુ હતુ. જોકે અમીએ આ વાતનો ઇન્કાર કરતા કહ્યુ હતુ કે, ''મને કોઇ કોન્ટેક્ટ કરવામાં આવ્યો નથી, પરંતુ મારા મિત્રો મને કહી રહ્યા છે કે મારે આ કેરેક્ટર કરવુ જોઇએ હું સારી રીતે કરી શકીશ, જોકે મને હજુ સુધી કોઇ ઑફર મળી નથી અને ના તો શોના મેકર્સે મારા સુધી પહોંચવા માટે પ્રયત્ન કર્યો છે.''