સિંધુ બાર્ડર પર જોવા મળી રહેલા દૃશ્યોમાં ખેડૂતો પર લાઠીચાર્જ કરાતો જોવા મળી રહ્યો છે, જેનાં પર બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુએ ટ્વીટ કર્યું છે.
દિલ્હીમાં ખેડૂત આંદોલન ઉગ્ર બની રહ્યું છે
ખેડૂતો આંદોલન પર તાપસી પન્નુએ પોતાનો મંતવ્ય આપ્યો
દિલ્હીમાં ખેડૂતો પર લાઠીચાર્જ થઈ રહ્યો છે
સિંધુ બોર્ડર પરનાં વીડિયો અને ફોટો બન્યા વાયરલ
ગણતંત્ર દિવસનાં પ્રસંગે એક તરફ રાજપથ પર પરેડ નીકળી રહી છે અને સમગ્ર દેશ ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે તો બીજી તરફ દિલ્હીનાં સિંધુ બોર્ડર પર ખેડૂત તેમનાં હિત માટે પ્રદર્શન કરી રહ્યાં છે. કૃષિ બીલને નાબૂદ કરવાની માંગ પર અડગ ખેડૂતોએ ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર રેલી નીકાળવાની માંગ કરી હતી. પણ હવે સિંધુ બોર્ડરથી વીડિયો અને ફોટો જોવા મળી રહ્યા છે કે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે અને તેમનાં પર ટીયર ગેસ નાં ગોળા પણ છોડવામાં આવ્યા છે. જે અંગે બોલિવૂડની એક્ટ્રેસ તાપસી પન્નુએ હાલ ભારતમાં ખેડૂતોની બે પ્રકારની સ્થિતિ દર્શાવતી ટ્વીટ કરી છે.
મારી ટાઈમલાઇન દેશની હાલત બતાવે છે
તાપસી પન્નુએ ટ્વીટ કરીને એક ન્યૂઝ ચેનલનાં બે દૃશ્યો રજૂ કર્યાં છે અને જેમાં જોવા મળે છે કે, એક તરફ લોકો ખેડૂતો પર ફૂલોની વર્ષા કરી રહ્યાં છે તો બીજી તરફ પ્રશાસન ખેડૂતો પર લાઠીચાર્જ કરી રહ્યું છે અને ટીયર ગેસનાં ગોળા ફેંકી રહ્યુ છે. જે અંગે તાપસીએ લખ્યું છે કે, મારી ટાઈમલાઇન પર બેક ટુ બેક આ બંને વસ્તુઓ આપણા દેશની પરિસ્થિતિ અંગે કંઈક કહી રહી છે. આમ તાપસી પન્નુએ ખેડૂત આંદોલન અંગે પોતાનો મંતવ્ય રજૂ કર્યો હતો. તાપસીનાં આ ટ્વીટ પર ખૂબ રિએક્શન આવી રહ્યાં છે.