સગપણ કરનાર યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો. જોકે વિધિના નામે ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઢોંગી ભુવાનો પર્દાફાશ થતા નિકોલ પોલીસે ધરપકડ કરી હતી.
વિધીનું નાટક કરી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
નદીના પટમાં ઝાડીમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ
પરિવારની અંધશ્રધ્ધાનો ભોગ બની સગીરા
અમદાવાદનો ભુવાજી રઇજ રાવળ જે નિકોલના છેડે આવેલા જાણુ પાટિયા પાસે રહીને તાંત્રિક વિધિ કરે છે. તેની પાસે એક સગીરા અને તેનો પરિવાર ગયા હતા. સગીરાનું જે યુવક સાથે સગપણ કર્યું હતું તેને ઊંઘમાં ઝબકી જવાની બીમારી થઈ હતી. જેથી કોઈ વળગાડ હોવાનું માની આ સગીરાના પરિવારે ભુવાજીનો સંપર્ક કર્યો. ભુવાજીએ વિધિ કરવાનું કહી પાંચ હજાર લીધા અને નદીના પટમાં લઈ ગયો. નદીના પટમાં લઈ જઈ યુવકની તો વિધિ કરી જ. પણ સાથે આ સગીરાનું સગપણ હોવાથી તેની પણ વિધિ કરવી પડશે તેમ કહી તેના માથેથી એક કોથળી અને નારિયેળ ઉતાર્યું. આ ઢોંગી કરતુત કરતા જ સગીરાને આંચકો આવ્યો હતો.
સગીરાના પરિવારજનોને કહ્યું- તમે સાથે આવશો તો તમને દુઃખ પડશે
થેલી નદીમાં નાખવા જવાનું કહી ભુવાજી સગીરાને લઈને નદીના પટમાં ગયા હતા. ત્યાં પણ એક વિધિ કરવી પડશે તેમ કહેતા સગીરાના પરિવારજનો સાથે જતા હતા. જોકે ભુવાજીએ સાથે ન આવવા કહ્યું હતું. જો સાથે આવશો તો તમને દુઃખ પડશે તેવો ડર બતાવ્યો અને માત્ર સગીરાને લઈ ગયો હતો. જ્યાં ઝાડીઓમાં શ્રીફળ નાખી બાદમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
દુષ્કર્મ આચરીને સગીરાએ ધમકી આપી કે 'વાત કોઇને કહીશ તો મારી નાખીશ'
દુષ્કર્મ અચર્યા બાદ સગીરાને ભુવાજીએ ધમકી આપી કે આ વાત કોઈને કહેશે તો તે મારી નાખશે. જોકે વિધી બાદ સતત તણાવમાં રહેતી સગીરાને જોઈને તેના પરિવારે પુછપરછ કરી હતી. સગીરાથી ન રહેવાતા આખરે તેને પરિવારને ભુવાની કરતુતની જાણ કરી હતી. આ ઘટનાને લઈને પરિવારે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ભુવાજી રઇજ રાવળની ધરપકડ કરી હતી.
અંધશ્રધ્ધાએ આ સગીરાનુ જીવન બરબાદ કર્યુ
અંધશ્રધ્ધાએ આ સગીરાનુ જીવન બરબાદ કર્યુ. છેલ્લા ઘણા વર્ષોથી ભુવો બનીને વિધી કરતા રઈજ રાવળએ અન્ય કેટલી યુવતીઓ કે સગીરા સાથે આવા કૃત્યો કર્યા હોવાની શંકાને લઈને પોલીસે ભુવાના રિમાન્ડ મેળવીને વધુ પુછપરછ શરૂ કરી છે.