અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર' રિલીઝ થયાને 4 અઠવાડિયા પૂરા થવા આવ્યા છે, પરંતુ ફિલ્મ સતત બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના 25 દિવસે પણ થિયેટર્સમાં ફિલ્મ ધૂમ મચાવી રહિી છે. હાલના આંકડા જોઈને લાગે છે કે, આવનારા દિવસોમાં 2-3 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. એવામાં ફિલ્મ 255 કરોડની આસપાસનું કલેક્શન કરી શકે છે. જોકે, આ અંગે હાલ કોઈ ઓફિશિયલ માહિતી મળી નથી.
બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ મુજબ, તાન્હાજીએ મુંબઈમાં જ 130 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પહેલાં સલમાન ખાનની દબંગે મુંબઈમાં 104 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેથી તાન્હાજીએ સલમાન ખાનની ફિલ્મ દબંગનો પણ રોકેર્ડ તોડી દીધો છે. તાન્હાજીના શાનદાર કલેક્શનને જોઈને લાગે છે કે આ ફિલ્મ 300 કરોડનો આંકડો પાર કરી દેશે.
ટીકાકારો તરફથી મિશ્ર પ્રતિસાદ છતાં ફિલ્મે તોડ્યા રેકોર્ડ
જોકે, અજય દેવગનની ફિલ્મ 'તાન્હાજી: ધ અનસંગ વોરિયર' ને ટીકાકારો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, તેમ છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરતી રહી. તમને જણાવી દઈએ કે, ફિલ્મમાં અજય દેવગનની સાથે કાજોલ પણ મુખ્ય પાત્રમાં જોવા મળી હતી. ફિલ્મમાં અજય દેવગણ છત્રપતિ શિવાજીના સેનાપતિ સુબેદાર તાન્હાજી માલુસરેની ભૂમિકામાં નજરે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અજય દેવગન અને કાજોલ ઉપરાંત સૈફ અલી ખાન, પંકજ ત્રિપાઠી અને શરદ કેલકર પણ છે.