ચીન, જે વિશ્વમાં લાંબા સમય સુધી સૌથી વધુ કોરોના કેસ ધરાવતો દેશ હતો, તેના પોઝિટિવ કેસના આંકડા કરતા ભારતમાં આજે વધુ પોઝિટિવ કેસ થવા જઈ રહ્યા છે. ભારત 83000 કેસ થશે તે સાથે જ ચીનને પોઝિટિવ કેસના આંકડાઓમાં પાર કરશે તે સાથે જ દેશમાં તામિલનાડુ ગુજરાતને વટાવીને એક ગંભીર કોરોના હોટસ્પોટ બની રહ્યું છે. જો કે તામિલનાડુમાં સૌથી વધુ સેમ્પલ ટેસ્ટિંગ થઇ રહ્યું છે જેને લીધે તેનો સંક્રમણનો દર વધારે હોવાનું જણાય છે. વળી તેમનો મૃત્યુદર દેશમાં સૌથી ઓછો છે.
દેશમાં ગુરુવારે 3996 નવા કેસ સાથે એક દિવસનો બીજો સૌથી મોટો ઉછાળો નોંધાયો
કોરોના વાયરસના 80000થી વધુ પોઝિટિવ કેસ હોવા છતાં મૃત્યુઆંક 2649, ચીનમાં આટલા પોઝિટિવ કેસમાં 4633 લોકોના મોત
ગુજરાત કરતા વધારે કેસ હોવા છતાં તામિલનાડુમાં મૃત્યુઆંક 66 છે જયારે ગુજરાતમાં મૃત્યુઆંક 586
ચીનના વુહાન શહેરથી શરુ થયેલા કોરોના વાયરસના આંકડા શરૂઆતમાં ચીન સુધી સીમિત રહ્યા હતા. ફેબ્રુઆરી માર્ચ મહિનામાં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય એ હવે વાસ્તવિકતા બનવા જઈ રહ્યું છે. ચીન, જે વિશ્વમાં લાંબા સમય સુધી સૌથી વધુ કોરોના કેસ ધરાવતો દેશ હતો, તેના પોઝિટિવ કેસના આંકડા કરતા ભારતમાં આજે વધુ પોઝિટિવ કેસ થવા જઈ રહ્યા છે. ભારત 83000 કેસ થશે તે સાથે જ ચીનને પોઝિટિવ કેસના આંકડાઓમાં પાર કરશે તે સાથે જ દેશમાં તામિલનાડુ ગુજરાતને વટાવીને એક ગંભીર કોરોના હોટસ્પોટ બની રહ્યું છે.
ચીનમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના નહિવત કેસ
ભારતમાં કોરોના વાયરસે કેરળ રાજ્યથી એન્ટ્રી લીધી હતી. ચીન બાદ આ રોગનું એપિસેન્ટર યુરોપ બન્યું હતું. જો કે હવે યુરોપમાં પણ ધીમે ધીમે સ્થિતિ કાબૂમાં આવી રહી છે પરંતુ ભારતમાં સ્થિતિ બદ થી બદતર થતી જાય છે. દેશમાં ગુરુવારે 3996 નવા કેસ સાથે એક દિવસનો બીજો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. આ સામે ચીનમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના નહિવત કેસ નોંધાય છે.
ભારત પોતાનો મૃત્યુદર કાબૂમાં રાખવામાં સફળ
નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસના 80000થી વધુ પોઝિટિવ કેસ હોવા છતાં મૃત્યુઆંક 2649 જેટલો રહ્યો છે. જયારે ચીનમાં આટલા પોઝિટિવ કેસમાં 4633 લોકોના મોત નોંધાયા છે. આમ ભારત પોતાનો મૃત્યુદર કાબૂમાં રાખવામાં સફળ રહ્યું છે તેમ કહી શકાય.
જેમ ગુજરાતમાં અમદાવાદ એપિસેન્ટર છે તે તામિલનાડુમાં ચેન્નાઇ બન્યું એપિસેન્ટર
આ સાથે દેશમાં મહારાષ્ટ્ર 27000થી વધુ કેસ સાથે સૌથી ગંભીર સ્થિતિમાં છે.અમદાવાદ શહેરના હોટસ્પોટ બનવાના કારણે ગુજરાત આ પરિસ્થિતિમાં બીજા સૌથી વધુ કેસ ધરાવતું હતું. જો કે હવે ગુજરાતના 9591 કેસ કરતા 9674 કેસ સાથે તામિલનાડુ બીજા ક્રમે આવી ગયું છે. જેમ ગુજરાતમાં અમદાવાદ એપિસેન્ટર છે તે તામિલનાડુમાં ચેન્નાઇ 5000થી વધુ કેસ સાથે એપિસેન્ટર બની ગયું છે.તામિલનાડુમાં છેલ્લા 10 દિવસથી 500થી વધુ કોરોનાના દર્દીઓ પોઝિટિવ સામે આવી રહ્યા હતા.
જો કે તામિનાડુના મામલે બે બાબતો નોંધવા જેવી છે. 3 લાખથી વધારે સેમ્પલ ટેસ્ટિંગ સાથે આ રાજ્ય દેશમાં સૌથી વધુ ટેસ્ટિંગ કરનાર રાજ્ય છે. ગુજરાત કરતા વધારે કેસ હોવા છતાં અહીં મૃત્યુઆંક 66 છે જયારે ગુજરાતમાં મૃત્યુઆંક 586 જેટલો ઊંચો છે. આમ 0.66% સાથે દેશમાં સૌથી નીચો મૃત્યદર તામિલનાડુમાં છે.