વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપી સંસદીય દળની બોર્ડ બેઠકમાં તુર્કીયેની ગોઝારી ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તુર્કીયેની દયનીય સ્થિતિ વિશે વાત કરતાં પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન તેમણે કચ્છમાં 2001માં આવેલા ભૂકંપને યાદ કર્યો હતો.
સંસદીય દળની બેઠકમાં ભાવુક થઈ ગયા PM મોદી
ગુજરાતના કચ્છમાં 2001માં આવેલા ભૂકંપને કર્યો યાદ
અમે પણ આવી ભયાનકતાનો સામનો કર્યો છેઃ PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી સંસદીય દળની બેઠકમાં ભાગ લીધો. આ બેઠકમાં પીએમ મોદીએ તુર્કીયેમાં આવેલા વિનાશક ભૂકંપનો ઉલ્લેખ કર્યો અને ભાવુક થઈ ગયા. ગુજરાતના કચ્છના ભૂકંપને યાદ કરતાં PM મોદીએ કહ્યું કે, ' અમે પણ આવી ભયાનકતાનો સામનો કર્યો છે. ભારત તુર્કીયેને શક્ય તમામ મદદ કરશે.'
કચ્છના ભૂકંપને PM મોદીએ કર્યો યાદ
ભાજપ સંસદીય દળની બેઠકમાં તુર્કીયે અને સીરિયાના ભૂકંપની દુર્ઘટના પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યાં સર્જાયેલી પરિસ્થિતિ વિશે વાત કરતા પીએમ મોદીએ વર્ષ 2001માં આવેલા કચ્છના ભૂકંપને યાદ કરતા કહ્યું કે, 'અમે પણ આવી ભયાનકતાનો સામનો કર્યો છે. ભારત આ મુશ્કેલ સમયમાં તુર્કીયેને શક્ય તમામ મદદ કરશે.'
PM મોદીએ વ્યક્ત કર્યો હતો શોક
ગતરોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીયેમાં આવેલા આ ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, તુર્કીયેમાં ભૂકંપના કારણે જાન-માલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના તેમજ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, ભારત તુર્કીયેના લોકો સાથે છે અને આ દુર્ઘટનાનો સામનો કરવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર છે.
Anguished by the loss of lives and damage of property due to the Earthquake in Turkey. Condolences to the bereaved families. May the injured recover soon. India stands in solidarity with the people of Turkey and is ready to offer all possible assistance to cope with this tragedy. https://t.co/vYYJWiEjDQ
ભારત NDRFની 2 ટીમો સહિત બીજી સામગ્રી મોકલશે
પીએમ મોદીની સૂચના પર વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ તુર્કીયેને તાત્કાલિક મદદ આપવાના મુદ્દે મહત્વની બેઠક બોલાવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે એનડીઆરએફ અને મેડિકલ ટીમોને શોધ અને બચાવ કામગીરી માટે તુર્કીયે મોકલવામાં આવશે. આ સાથે જ રાહત સામગ્રી પણ શક્ય તેટલી વહેલી તકે તુર્કીયે મોકલવામાં આવશે. એનડીઆરએફની બંને ટીમોમાં 100 જવાનો હશે. જેમાં ડોગ સ્કવોડનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ ટીમો પોતાની સાથે જરૂરી સાધનો પણ લઈ જશે. મેડિકલ ટીમમાં ડોક્ટર, અન્ય સ્ટાફ અને જરૂરી દવાઓ હશે.
તમને જણાવી દઈએ કે, વાસ્તવમાં સોમવાર (06 ફેબ્રુઆરી)એ તુર્કીયેમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. ભૂકંપ એટલો ભયાનક હતો કે ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 4300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 15 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર દુનિયા આ આફતને જોઈને લાચાર બની છે અને કાટમાળ હેઠળ દબાયેલા અનેક લોકોના શબ –ઈજાગ્રસ્ત થયેલા લોકોને જોઈ સૌકોઈના હૃદય કંપી ઉઠ્યાં છે.
તુર્કીયેમાં વારંવાર ભૂકંપ આવવાનું કારણ
તુર્કીયેનો મોટાભાગનો ભાગ એનાટોલિયન પ્લેટ પર છે. આ પ્લેટની પૂર્વમાં પૂર્વ એનાટોલિયન ફોલ્ટ છે. ડાબી બાજુ ટ્રાન્સફોર્મર ફોલ્ટ છે. જે અરેબિયન પ્લેટ સાથે જોડાય છે. દક્ષિણ અને નૈઋત્યમાં આફ્રિકન પ્લેટ આવેલી છે. જ્યારે, ઉત્તર દિશામાં યુરેશિયન પ્લેટ છે, જે ઉત્તરી એનાટોલિયન ફોલ્ટ ઝોન સાથે જોડાયેલી છે. હાલમાં તુર્કીયેની નીચે આવેલી એનાટોલિયન ટેક્ટોનિક પ્લેટ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરી રહી છે. એટલે કે, એન્ટિક્લોકવાઇઝ. વળી, અરેબિયન પ્લેટ પણ તેને ધક્કો મારી રહી છે. હવે જ્યારે અરેબિયન પ્લેટ ફરતી એનાતોલિયન પ્લેટને ધક્કો મારે છે ત્યારે તે યુરેશિયન પ્લેટ સાથે અથડાય છે. ત્યારે ભૂકંપના જોરદાર આંચકા આવે છે. તુર્કીયેમાં આવેલો ભૂકંપ 2023ના વર્ષનો સૌથી મોટો ભૂકંપ બન્યો છે. 7.9ની તીવ્રતાવાળો આ પહેલો મોટો ધરતીકંપ છે જેમાં હજારો લોકો માર્યા ગયા છે.