સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના દરબારગઢમાં આવેલ રાજ પરિવારની રણછોડરાયની હવેલીમાંથી ઠાકોરજીની મૂર્તિ સહિત અતિપૌરાણિક અને એન્ટિક મૂર્તિઓ તથા રૂ. ૪૦ લાખનાં સોના-ચાંદીનાં વાસણનાં સામાનની ચોરી થતાં કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. વહેલી સવારે રાજવી પરિવારના સભ્યો જ્યારે પૂજા-અર્ચના કરવા માટે હવેલીએ પહોંચ્યા ત્યારે ચોરીની ઘટનાની જાણ થઇ હતી.
આ ઘટના અંગેની લખતર પોલીસને જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલીક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આ સાથે સુરેન્દ્રનગરથી પણ LCBની ટીમ તથા FSLની ટીમ અને ડોગ સ્ક્વોડ લખતર દરબાર ગઢ ખાતે આવી પહોંચ્યા હતા.
આપને જણાવી દઇએ કે રાધા કૃષ્ણની મૂર્તિ 379 વર્ષ જુની હતી જે લખતર રાજવી પરિવારની હવેલીમાં સ્થાપિત થઇ હતી. પોલીસે આ મામલાની પ્રાથમિક તપાસ કરતા ચોર મોડી રાતે દરબાગઢની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હોવાનું જણાઈ આવ્યું હતું.
આ સાથે જ તેણે ચાવીનો ઝૂડો લઇને હવેલીનું તાળું ખોલ્યા બાદ ઠાકોરજીની મૂર્તિ સહિત અન્ય વસ્તુની ચોરી કરીને રવાના થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગરના ઉચ્ચ પોલીસ અધિકારી પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને ચોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.