એક તરફ પાકિસ્તાન તાલિબાનોના ભરપેટ વખાણ કરી રહ્યું છે તો બીજી તરફ તાલિબાને પાકિસ્તાન સાથે બેવફાઇ કરતાં ટીટીપી મુદ્દે સમર્થન આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.
પાકિસ્તાન દ્વારા તાલિબાનોનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. અગાઉ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તાલિબાનો દ્વારા અફઘાનિસ્તાનમાં સત્તા સ્થાપવાની ઘટનાના વખાણ કરી ચૂક્યા છે. પરંતુ તાલિબાનોનો ઇતિહાસ છે કે તેઓ કોઈના થયા નથી અને થશે પણ નહીં. હવે એક એવી ઘટના બની છે કે જે સાંભળીને પાકિસ્તાનના મોતિયા મરી જશે.
પાકિસ્તાનને અપેક્ષા હતી કે તહરિક-એ-તાલીબાન ની સમસ્યાનો નિવેડો લાવવામાં તેઓને તાલીબાનોની મદદ મળશે. પરંતુ હવે કાબુલ પર કબજો મેળવનાર સંગઠને આવું કરવાની ચોખ્ખી ના પડી દીધી હતી. તેમણે પાકિસ્તાનને કહ્યું હતું કે તહરિક-એ-તાલીબાન એ પાકિસ્તાનની પોતાની સમસ્યા છે જેનું તેમણે જાતે જ સમાધાન લાવવું પડશે. આમાં અફઘાનિસ્તાન કશું કરી શકે એમ નથી. અફઘાન તાલિબાનોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તેઓ અફઘાન ધરતીનો ઉપયોગ કોઈ બીજા માટે નહીં કરવા દે.
આ મુદ્દાનો પાકિસ્તાને જ સામનો કરવો પડશે
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) મુદ્દો ઇમરાન ખાન સરકાર દ્વારા ઉકેલાવો જોઇએ અફઘાનિસ્તાન સરકાર દ્વારા નહીં. શનિવારે જિયો ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રવક્તા મુજાહિદે કહ્યું હતું કે, "ટીટીપી એ એક મુદ્દો છે જેનો પાકિસ્તાને જ સામનો કરવો પડશે. અફઘાનિસ્તાને નહીં. તે ખરેખર પાકિસ્તાન, પાકિસ્તાની ઉલેમાઓ અને ધાર્મિક વ્યક્તિઓની જવાબદારી છે, તાલિબાનની નહીં.''
અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ બીજા દેશ સામે કરવા દેશે નહીં
જો કે, મુજાહિદે કહ્યું હતું કે તાલિબાન કોઈને પણ અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ બીજા દેશ સામે કરવા દેશે નહીં. મુજાહિદે કહ્યું કે, અમારો સિદ્ધાંત એ છે કે અમે અન્ય કોઈ પણ દેશમાં શાંતિનો નાશ કરવા માટે કોઈને પણ અમારી જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપીશું નહીં. તેમણે કહ્યું કે જો ટીટીપી (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) અફઘાન તાલિબાનને તેના નેતા તરીકે સ્વીકારે, તો તેમને તેમની વાત સાંભળવી પડશે, પછી ભલે તેમને તે ગમે કે ન ગમે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા કેટલાય આતંકવાદીઓને અફઘાનિસ્તાનની જેલોમાંથી તાલિબાનોએ કાબુલ પર કબજો મેળવ્યા બાદ મુક્ત કર્યા છે.
તાલિબાનનો આ ઝટકો પાકિસ્તાનને મોટા પાયે લાગ્યો હતો. થોડા સમય અગાઉ પાકિસ્તાને તાલિબાનને ટીટીપી આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા કહ્યું હતું. પાકિસ્તાનને આશા હતી કે તાલિબાનના કાબુલ પર કબજો કર્યા બાદ તેની અરજ સાંભળવામાં આવશે, જે ગની સરકારમાં શક્ય ન્હોતું. પરંતુ હવે જ્યારે તાલિબાને ઠપકો આપ્યો છે, તે જોવું રસપ્રદ રહેશે કે પાકિસ્તાન તેના પર કેવી પ્રતિક્રિયા આપે છે.
સરકાર રચવા માટે તમામ પ્રયત્નો
અફઘાનિસ્તાનમાં લોકો સરકારની રચનાની કેટલી અપેક્ષા રાખી શકે છે તે અંગે પૂછવામાં આવતા તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે તેઓ થોડા દિવસોમાં સરકારની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. પ્રવક્તાએ કહ્યું કે સરકારના તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે તાલિબાન આ અંગે જાહેરાત કરવા માટે થોડા દિવસોમાં જ તૈયાર થઈ જશે. મુજાહિદે નોંધ્યું હતું કે વિલંબ રોજિંદા કામકાજ અને વેપાર અને મુત્સદ્દીગીરીની બાબતોમાં અવરોધ ઉભો કરે છે અને તાલિબાને શક્ય તેટલી ઝડપથી સરકાર રચવા માટે તેમના તમામ પ્રયત્નો કરી રહ્યા છે.