બનાસકાંઠાના તલાટીઓ જિલ્લા વિકાસ અધિકારી સામે રોષે,સોશિયલ મીડિયાના ગ્રુપમાંથી રિમુવ થવા તથા મીટિંગમાં હાજર ન રહેવાનો કર્યો નિર્ણય
બનાસકાંઠા જિલ્લા તલાટી મંડળનો વિરોધ
જિલ્લા વિકાસ અધિકારી સામે રોષ
મળવા માટે સમય ન ફાળવતા રોષે
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સામે તલાટી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીને મળવા માટે તલાટી મહામંડળના પ્રમુખને સમય ન આપતા તલાટી કમ મંત્રી મહામંડળ રોષે ભરાયુ છે. 31 માર્ચ સુધી જિલ્લાના તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા આ અંગે વિરોધ નોંધાવવાનું નક્કી કર્યુ છે.
તલાટી મંડળ રોષે કેમ ?
વાત જાણે એમ છે કે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીને કોઇ બાબતે રજૂઆત કરવા માટે સોમવાર અને ગુરુવાર આ બંને દિવસ ફાળવવામાં આવ્યા છે. આ દિવસે મુલાકાતીઓ ડીડીઓને મળીને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રીઓ મંડળના પ્રમુખની આગેવાનીમાં જિલ્લા અધિકારીને મળવા માટેનો સમય લીધો હતો. ડેપ્યુટી ડીડીઓને પણ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીને મળવા માટે 26 માર્ચે 3 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ આ દિવસે સાંજે 5 વાગ્યા સુધી બેસાડી રાખ્યા બાદ તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખને જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરમાં પ્રવેશ આપવાની ના પાડી દેવામાં આવતા તલાટી મંડળનો રોષ ફાટી નીકળ્યો.
31 માર્ચ સુધી નોંધાવશે વિરોધ
જિલ્લા વિકાસ અધિકારીના આવા વર્તનને લઇને તલાટી મંડળમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. જેથી બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા જિલ્લા નારાજગી વ્યક્ત કરતો એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે તમામ તલાટી કમ મંત્રીઓએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ વ્હોટ્સએપ ગ્રુપમાંથી રિમુવ થઇએ છીએ. તેમજ આગામી 31 માર્ચ ગુરુવાર સુધી તાલુકા પંચાયતની કોઇ પણ મીટિંગમાં તલાટી કમ મંત્રીઓ હાજર રહેશે નહી... સાથે જ એમ પણ જણાવ્યુ કે તલાટી TDO કે DDOને માહિતી આપશે નહીં...દર ગુરૂવારે થતી તલાટીની મિટીંગમાં હાજર ન રહેવાનો પણ નિર્ણય કરાયો છે.. જો કે માનવીય અભિગમ દાખવીને અરજદારોની તમામ પ્રકારની કામગીરી ચાલુ રાખીશું. આમ છતાં જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો તબક્કાવાર કાર્યક્રમ આપીને અચોક્કસ મુદ્તની હડતાળનું આહ્વાન કરીશું તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.