લાંચ કેસમાં સંડોવાયેલા જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના ભ્રષ્ટ તલાટીને ખાસ અદાલતે 3 વર્ષની કેદની સજા ફટકારી છે.
જામનગરના ભાણવડ તાલુકાના તલાટીને 3 વર્ષની કેદ
લાંચ કેસમાં વર્ષ 2008માં ACBમાં નોંધાવી હતી ફરિયાદ
ખાસ અદાલતે રૂપિયા ૩ હજાર દંડ સાથે ફટકારી 3 વર્ષની કેદ
જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના ભ્રષ્ટ તલાટીને 3 વર્ષની કેદની સજા ફટકારી કોર્ટે દાખલો બેસાડયો છે. લાંચ કેસમાં વર્ષ 2008માં ACBમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસ ચાલી જતાં ખાસ અદાલતે પ્રફુલચંદ્ર સાંગાણી નામના તલાટીને રૂપિયા ૩ હજાર દંડ સાથે ફટકારી 3 વર્ષની કેદ સાજાનો હુકમ કર્યો છે. 2008 ની સાલમાં જમીનના કાગળ કઢાવવા તલાટીએ 7 હજારની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ 2 હજાર અગાઉ સ્વીકારી લીધા હતા અને રૂપિયા 5 હજાર લાંચ પેટે સ્વીકારતા રંગે હાથ ઝડપાયો હતો.
એસીબીએ 5 હજારની લાંચ સ્વીકારતા તલાટીને દબોચી લીધો હતો
આ કેસની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા પ્રફુલચંદ્ર રમણીકલાલ સાંગાણી સામે લાંચ આંગેની ફરિયાદ નોંધાઈ હતી. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલ નીલકમલ પાર્કમાં રહેતા રાજેશભાઈ મોહનભાઈ સાંગાણીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ રાજેશભાઈના પત્ની ગોદાવરીબેનને પોતાની હયાતીમાં દેવળીયા ગામે આવેલી જમીનમાં હિસ્સો મેળવવા વારસાઈ એન્ટ્રીની જરૂરિયાત હોય જેથી 7/12 અને 8-અ નો દાખલો કઢાવવા અરજી કરી હતી. આ દાખલો કાઢી આપનાર તલાટી પ્રફુલચંદ્રએ 7 હજારની લાંચની માંગણી કરી હતી. જે તે સમયે 2000 રૂપિયા લાંચ પેટે સ્વીકાર્યા હતા ત્યારબાદ રૂા.5000 આપતા સમયે ફરિયાદીની અરજીને આધારે લાંચ રૂશ્વત બ્યુરોની ટીમે છટકુ ગોઠવી રૂા.5 હજાર સ્વીકારતા તલાટીને દબોચી લીધો હતો.
કોર્ટે ત્રણ વર્ષની સજા અને રૂા.3 હજારનો દંડ ફટકાર્યો
ગુન્હો દાખલ થયા બાદ એસીબી અદાલતમાં ચાર્જશીટ રજુ થયુ હતું. 40 દસ્તાવેજી પુરાવાઓ અને પાંચ સાહેદોને તપાસી રાજકોટના સ્પે. કોર્ટના જજ બી.બી.જાદવે સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ ચૂકાદો સંભળાવ્યો હતો. દલીલોને ધ્યાને લઈ એસીબી સ્પે. કોર્ટના જજ બી.બી.જાદવે લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમની કલમ 7-13 (1) ડી 13 (2) હેઠળ તલાટીને તકસીરવાન ઠેરવી બે વર્ષની સજા અને રૂા.3 હજારનો દંડ તેમજ કલમ 13(1)(ડી) હેઠળ ત્રણ વર્ષની સજા અને રૂા.3 હજારનો દંડ ફટકાર્યો હતો.