પ્રોફેશનલ એથ્લિટોના ટ્રેનિંગનું કેટલાક જિમમાં બરફ ભરેલું બાથ ટબ હોવું સામાન્ય બાબત છે. ઘણા બધા એથ્લિટ સખત વ્યાયામ બાદ બરફના ટુકડાવાળા પાણીમાં થોડીક ક્ષણ બેસે છે. તેને આઇસ બાથ પણ કહેવાય છે.
તેની પાછળની ધારણા એ છે કે વ્યાયામ બાદ બરફના પાણીમાં નહાવાથી માંસપેશીઓને આરામ મળે છે અને શરીર ખૂબ જ જલદી ફરી વખત વ્યાયામ માટે તૈયાર થઇ જાય છે. જોકે તાજેતરના અભ્યાસમાં તેના અલગ પરિણામો બહાર આવ્યાં છે. સંશોધકોનું કહેવું છે કે એ વાતનો કોઇ દાવો ન કરી શકે કે બરફના પાણીમાં બેસવું આરામદાયક અનુભવ છે. સાચી વાત એ છે કે ઠંડા પાણીના ટીપાં સોયની જેમ વાગે છે. છતાં પણ લોકો આઇસ બાથ લે છે કેમ કે તેમનું માનવું છે કે તેનાથી વ્યાયામથી થાકેલી માંસપેશીઓને આરામ મળે છે. માંસપેશીઓને થતું નુકસાન ઘટે છે અને તેના વિકાસમાં મદદ મળે છે.
કેટલાક યુવાનો અને એથ્લિટો પર કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વેઇટલિફ્ટિંગ બાદ જો કોઇ વ્યક્તિ આઇસ બાથ લે છે તો વ્યાયામની અસર ઘટી જાય છે અને માંસપેશીઓને રિપેર થવામાં કોઇ લાભ થતો નથી અને તેનો વિકાસ પણ રોકાઇ જાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે તમે આરામ કરવાની કઇ રીત અપનાવો છો તેના પરથી નક્કી થાય છેકે આ વ્યાયામથી તમને કેટલો લાભ મળશે. આઇસ બાથ પર ઘણા અભ્યાસ થયા છે, પરંતુ આવા કોઇ લાભ સામે આવ્યા નથી.
સંશોધકોનું કહેવું છે કે માંસપેશીઓ લાંબા ફાઇબરથી બનેલી હોય છે. કસરત બાદ તેનો વિકાસ થાય છે. જો તરત તેના પર બરફનું પાણી પડે તો ફાઇબરનો વિકાસ રોકાઇ જાય છે. જરૂરી પ્રોટીનની માત્રા ઘટી જાય છે, જ્યારે તેના તૂટવા માટે જવાબદાર પ્રોટીનની માત્રા વધી જાય છે. આ કારણે માંસપેશીના ફાઇબર નાના નાના રહી જાય છે.