ટેલિવિઝન જગતની સૌથી પોપ્યુલર કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ચાહક વર્ગ દરેક ઉંમરનો છે. છેલ્લા 12 વર્ષથી આ શો લોકોને ખડખડાટ હંસાવી રહ્યો છે. ત્યારે અત્યારે શોમાં ઘણી જ ઉથલપાથલ ચાલી રહી છે. શોમાં જેઠાલાલ બધાં જ ગોકુલધામ વાસીઓ માટે રવિવારે એકસાથે ઉંબાડિયુ (ગુજરાતી વાનગી) ખાવાની એક પાર્ટીનું આયોજન કરે છે. આ દરમિયાન ગોકુલધામના બધાં જ પુરૂષો સોસાયટી કમ્પાઉન્ડમાં ભેગાં થાય છે અને જેઠાલાલ દ્વારા આપેલી પાર્ટી વિશે ચર્ચા કરે છે. એટલામાં ભિડે કહે છે કે જેઠાલાલ પાર્ટીનું કહીને ભૂલી તો નથી ગયો ને, જે બાદ જેઠાલાલ ત્યાં આવી જાય છે અને ભિડેને કહે છે કે, હું ભૂલ્યો નથી, મેં બાઘાને કહી દીધું છે, તે રસોઈયાને લઈને ઉંબાડિયા પાર્ટી માટે આવી રહ્યો હશો.
ગોકુલધામમાં ચાલી રહી છે ઉથલપાથલ
જેઠાલાલના ત્યાં યોજાઈ ઉંબાડિયું પાર્ટી
માતૃભાષાને લઈને સામસામે આવ્યા ગોકુલધામવાસીઓ
પછી જેઠાલાલ ભિડેને કહે છે કે હું પાર્ટીનું તો નથી ભૂલ્યો પણ તૂ આજનો સુવિચાર લખવાનું ભૂલી ગયો છે. આ વાત પર શિક્ષક ભિડે કહે છે કે, હું લખવા જ જઈ રહ્યો હતો. પરંતુ આ દરમિયાન અય્યર જે સવારથી અખબાર ન મળવા પર પરેશાન છે એ ભિડેને કહે છે કે, આજે તૂ તમિલમાં સુવિચાર લખજે અને હું આજે આખો દિવસ તમિલમાં જ વાત કરીશ કારણ કે મને મારી ભાષા પર ગર્વ છે. આ વાત પર જેઠાલાલ વચ્ચે કૂદે છે અને કહે છે કે મને મારી ભાષા પર ગર્વ છે તો સુવિચાર ગુજરાતીમાં લખજે અને પછી રોશનસિંહ સોઢી કહે છે કે, મને પણ પંજાબી ભાષા પર ગર્વ છે, તો આજે પંજાબીમાં સુવિચાર લખો.
આ રીતે ગોકુલધામના તમામ પુરૂષો જે થોડીવાર પહેલાં જેઠાલાલના ત્યાં આયોજિત ઉંબાડિયું પાર્ટીમાં જવા માટે એક્સાઈટેડ હતા, તેઓ હવે જેઠા અને અય્યર સામસામે આવ્યા બાદ બધાં પોતપોતાની માતૃભાષામાં સુવિચાર લખાવવા સામસામે આવી ગયા છે.
આ પહેલાં અખબારની અદલાબદલી થવાને કારણે અય્યર અને ચંપકલાલ ઘણાં જ પરેશાન દેખાઈ રહ્યાં હતા. જેમાં અય્યરના ઘરે ગુજરાતી અખબાર આવી જાય છે અને તે જેઠાલાલના ત્યાં અખબાર આપવા આવે છે તો એને ખબર પડે છે કે, એનું તમિલ અખબાર જેઠાલાલના ઘરે આવ્યું છે.