ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે આજે પોતાની મેચ રમવાની છે. આ મેચમાં ભારતીય ટીમ માટે કરો યા મરોની સ્થિતિ રહેશે. આ મેચ એક રીતે ક્વાર્ટર ફાઈનલની જેમ રહેશે. જે પણ ટીમ આ મેચ હારશે તેના માટે સેમી ફાઈનલમાં પહોંચવાનો માર્ગ વધુ મુશ્કેલ થશે. જો આ મેચમાં ટીમ ઈન્ડિયા હારી જાય છે તો તેના પર ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાવાનું સંકટ પણ આવી શકે છે.
ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારત માટે મુશ્કેલીભર્યા સમાચાર
આજની મેચમાં ભારતીય ટીમ માટે કરો યા મરોની સ્થિતિ
ન્યૂઝીલેન્ડનો આક્રમક બેટ્સમેન માર્ટીન ગુપ્ટિલે ફિટનેસ કરી પ્રાપ્ત
ભારત માટે માઠા સમાચાર
ન્યૂઝીલેન્ડ સામેની આ મેચ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ભારતીય ટીમનો સૌથી મોટો દુશ્મન સ્વસ્થ થતાં મેચમાં રમવા માટે તૈયાર છે. ન્યૂઝીલેન્ડના આક્રમક બેટ્સમેન માર્ટીન ગુપ્ટિલે ફિટનેસ પ્રાપ્ત કરી લીધી છે અને તેમની ભારત સામેની મેચમાં પસંદગી થઇ ગઇ છે. ગુપ્ટિલને પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડની હાર દરમ્યાન ડાબા પગના અંગુઠામાં ઈજા થઇ હતી.
ભારતીય ટીમનો સૌથી મોટો દુશ્મન ફિટ
ન્યુઝીલેન્ડની મીડિયાએ રાષ્ટ્રીય ટીમના કોચ ગેરી સ્ટીડના હવાલેથી કહ્યું, ગુપ્ટિલે ગઈકાલે ટ્રેનિંગ લીધી અને તેઓ આજે રાત્રે ફરી વખત ટ્રેનિંગ લઇ રહ્યાં છે. જેને જોઈને એવુ લાગે છે કે તેઓ મેચ માટે તૈયાર અને પસંદગી માટે ફીટ છે. આ સાથે સ્ટીડે કહ્યું કે એડમ મિલ્ને પણ ભારત સામેની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. મિલ્નેને ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનન ઈજાગ્રસ્ત થતા તેમના વિકલ્પ તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ જીત માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહી છે. બંને ટીમોએ પોતાની પ્રારંભિક મેચોમાં પાકિસ્તાન સામે પરાજયનો સામનો કર્યો.
ન્યૂઝીલેન્ડ સામે ભારતનો રેકોર્ડ કંગાળ
સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે ભારત માટે આ મેચ ખૂબ મહત્વની છે. પરંતુ જો આપણે ઈતિહાસને વાગોળીએ તો ભારત ક્યારેય ટી-20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડને હરાવી શક્યુ નથી. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડની સાથે બે મેચ રમી છે. જેમાં ભારતીય ટીમને બંનેમાં હાર પ્રાપ્ત થઇ છે. ટી-20 વર્લ્ડ કપ 2007માં બંને ટીમોની વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતુ. 2016ના વર્લ્ડ કપમાં બંને ટીમો સામસામે ટકરાઈ હતી ત્યારે ભારતીય ટીમે 47 રનથી કારમી હારનો સામનો કર્યો હતો.