ટી-20 વર્લ્ડ કપ 2021માં 24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન આમને-સામને રહેશે. મહત્વનું છે કે, ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન આજ સુધી ભારતને હરાવી શક્યુ નથી. ટી-20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારતનો જીતનો રેકોર્ડ 5-0નો છે.
ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ પહેલાં પૂર્વ કેપ્ટનનું નિવેદન
ટી-20 વર્લ્ડ કપ ભારતીય ટીમ જીતે તેવા ચાન્સ વધારે
કોઈ પણ ટુર્નામેન્ટમાં કઈ ટીમ જીતશે તેવુ ફાઈનલ ના કહી શકાય
ઈન્ઝમામ ઉલ હકનું ચોંકાવનારું નિવેદન
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાથી બંને દેશોની વચ્ચે ફરી એક વખત રોમાંચક મુકાબલો જોવા મળશે. તો ભારત અને પાકિસ્તાન મેચ પહેલાં પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે આ મહામુકાબલા પહેલાં મોટું નિવેદન આપતા કહ્યું છે કે ટી-20 વર્લ્ડ કપ ભારતીય ટીમ જીતે તેવા ચાન્સ વધારે છે. પોતાની યુ-ટ્યુબ ચેનલ પર વાત કરતા ઈન્ઝમામ ઉલ હકે કહ્યું, કોઈ પણ ટુર્નામેન્ટમાં એવુ ના કહી શકાય કે આ ટીમ ચેમ્પિયન બનશે. પરંતુ એવુ જોઈ શકાય કે કઈ ટીમના જીતવાના ચાન્સ વધારે છે. મારા મંતવ્ય મુજબ આ ટુર્નામેન્ટમાં બાકી ટીમોની તુલનાએ ભારતીય ટીમ જીતશે તેવી આશા વધારે છે.
ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર
ઈન્ઝમામે કહ્યું, ભારતની પાસે ટી-20 ફોર્મેટના અનુભવી ખેલાડી છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની વોર્મઅપ મેચમાં સરળતાની સાથે જીત પ્રાપ્ત કરી છે. આ પ્રકારની પિચ પર ભારતીય ટીમ દુનિયાની સૌથી ખતરનાક ટીમ છે. આજે પણ જોઈએ તો ભારતીય ટીમે 155 રનના લક્ષ્યનો પીછો સરળતાથી કર્યો અને તેમને વિરાટ કોહલીની જરૂર પણ પડી નથી. 24 ઓક્ટોબરની ભારત-પાકિસ્તાન મેચ પર ઈન્ઝમામે કહ્યું, ભારત અને પાકિસ્તાનની મેચ ફાઈનલ પહેલાં ફાઈનલ મેચ જેવી છે. આ પ્રકારની હાઈપ કોઈ અન્ય મુકાબલામાં હોતી નથી.
ભારતીય ટીમે વોર્મઅપ મેચમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને મ્હાત આપી
ઈન્ઝમામે કહ્યું, 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારત અને પાકિસ્તાને એકબીજા સામે રમી ટુર્નામેન્ટની શરૂઆત અને તેનો અંત પણ કર્યો હતો અને આ બંને મેચ ફાઈનલ જેવી હતી. જે ટીમ આ મેચ જીતશે તેનું મનોબળ વધશે. ભારતીય ટીમને આ વખતે ચેમ્પિયનશીપ માટે પ્રબળ દાવેદાર મનાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ વોર્મઅપ મેચમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને મ્હાત આપી પોતાનું પ્રદર્શન બતાવ્યું છે.