ટી-20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી થઇ છે. જેમાં ભારત પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે 24 ઓક્ટોબરે રમશે. પરંતુ આ મેચ પહેલાં સંકટના ડાકલા વાગી રહ્યાં છે.
ટી-20 વર્લ્ડ કપમાં 24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
શું પાકિસ્તાન સામે ભારત મેચ રમશે નહીં ?
BCCIના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ કરી સ્પષ્ટતા
પાકિસ્તાન સામે મેચ નહીં રમે ભારત ?
કાશ્મીરમાં છેલ્લાં કેટલાંક દિવસથી ભારતીય નાગરિકો પર વધી રહેલા આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધારો થયો છે. ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં યોજાતી મેચોને રદ્દ કરવાની પ્રબળ માંગ ઉઠી છે. ભારતને ચાલુ વર્ષે ટી-20 વર્લ્ડ કપ જીતવા માટેનું પ્રબળ દાવેદાર માનવામાં રહ્યું છે. ટી-20 વર્લ્ડ કપની વાત કરીએ તો પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ ખૂબ સારો છે. ભારત-પાકિસ્તાનની વચ્ચે ટી-20માં અત્યાર સુધી 5 મેચો થઇ છે. જેમાંથી પાંચ મેચ ભારતીય ટીમે જીતી છે. પરંતુ હવે આ મેચ રદ્દ થાય છે તો ક્રિકેટના ચાહકો માટે આ બાબત ખરાબ સાબિત થશે.
BCCI એ કરી સ્પષ્ટતા
ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપની મેચને લઇ BCCI એ એક જાહેરાત કરી છે. BCCIના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ICC ની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાના કારણે આ હાઈવોલ્ટેજ મેચને રદ્દ કરી શકાય તેમ નથી. રાજીવ શુક્લાએ ANI સાથે વાતચીત કરતા કહ્યું, અમે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. ત્રાસવાદીઓ વિરુદ્ધ કડક પગલાં ઉઠાવવા જરૂરી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે મેચની વાત છે તો ICC ની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાના કારણે અમે મેચોને રદ્દ નહીં કરીએ.
ICC ટુર્નામેન્ટ્સમાં ટીમો વિરુદ્ધ રમવુ પડશે
રાજીવ શુક્લાએ કહ્યું, તમારે ICC ટુર્નામેન્ટ્સમાં ટીમો વિરુદ્ધ રમવુ પડશે. 24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની વચ્ચે ટી-20 વર્લ્ડ કપની મેચ દુબઈમાં રમાશે. આ મેચ દ્વારા વિરાટ કોહલીની ટીમ ટી-20 વર્લ્ડ કપ માટે પોતાના અભિયાનની જાહેરાત કરશે. આ મેચની જાહેરાત પહેલાં પ્રશંસકોથી લઇને ભારતીય ટીમના ક્રિકેટરો ઉત્સાહિત છે.