ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ 2021ની પ્રથમ મેચમાં તેના સૌથી મોટા દુશ્મન પાકિસ્તાનનો સામનો કરશે. પરંતુ આ મેચ પહેલા ટીમના સૌથી મોટા મેચ વિનર તરીકે ઓળખાતા હાર્દિક પંડ્યાએ કેપ્ટન વિરાટ કોહલીની ચિંતા વધારી દીધી છે.
લ્યો બોલો, હવે હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીની ચિંતા વધારી
પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યાને બહાર રાખી શકાય છે અને તેની પાછળ મોટું કારણ સામે આવ્યું છે. ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે કહ્યું કે હાર્દિક પંડ્યા ટી-20 વિશ્વ કપમાં વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમની પ્લેઈંગ 11નો ભાગ ત્યારે બની શકે છે જ્યારે તેઓ પ્રેક્ટિસ મેચોમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરવામાં સક્ષમ હોય. પંડ્યાને 2019માં પીઠની સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ભારત અને પોતાની આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ માટે બોલિંગ કરી શક્યા નથી.
ગંભીરે સ્ટાર સ્પોર્ટસના કાર્યક્રમ ગેમ પ્લાનમાં કહ્યું, હું એવુ માનુ છુ કે હાર્દિક પંડ્યા ભારતની પ્લેઈંગ 11માં ત્યારે સામેલ થશે જ્યારે તેઓ બંને પ્રેક્ટિસ મેચોમાં સારી બોલિંગ કરવામાં સક્ષમ રહેશે. નેટ સેશનમાં બોલિંગ કરવી અને બાબર આઝમ જેવા સારા બેટ્સમેનોની સામે અને તે પણ વર્લ્ડ કપમાં બોલિંગ કરવી આ બંને બાબતમાં મોટો તફાવત છે.
વર્લ્ડ કપ વિજેતા પૂર્વ ઓપનિંગ બેટ્સમેને કહ્યું, તેમણે અભ્યાસ મેચો અને નેટ્સમાં બોલિંગ કરવી પડશે. તેમણે 100 ટકા બોલિંગ કરવાની હોય છે. જો તમે વિચારી રહ્યાં છો કે તમે 115-120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરશો તો હું આ જોખમ લઈશ નહીં.
શાર્દુલ કાપી શકે છે પત્તુ
હાર્દિક પંડ્યાની ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની 15 ખેલાડીઓની ટીમમાં બેટ્સમેન અને ઓલરાઉન્ડર તરીકે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ જેવુ સ્પષ્ટ થયુ કે તેઓ આ ટુર્નામેન્ટ દરમ્યાન બોલિંગ કરવામાં સક્ષમ નહીં થાય તો પસંદગીકારોએ અક્ષર પટેલને 15 ખેલાડીઓમાંથી બહાર કરી ટીમની બોલિંગને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી શાર્દૂલ ઠાકુરનો સમાવેશ કર્યો છે.