નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અંતિમ અને સિરીઝની નિર્ણાયક ટી-20 મેચ રમાવાની છે. જેને લઈને બંને ટીમોના ખેલાડીઓ તૈયાર છે. તો મેચને લઈને ક્રિકેટરસિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T-20 મેચ
સ્ટેડિયમમાં લોકોને બપોરે 3.30 વાગ્યા બાદ પ્રવેશ આપવાનું શરૂ
સ્ટેડિયમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 મેચ શરૂ થવાને ગણતરીની કલાકો જ બાકી છે. ત્યારે બપોરના બે વાગ્યાથી જ હજારો લોકો મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિમય ખાતે આવી રહ્યા છે. તમામને બપોરના 3.30 વાગ્યા બાદ સ્ટેડિયમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આજની મેચમાં 80 હજારથી પણ વધુ દર્શકો ઉપસ્થિત રહી શકે છે, જેના કારણે પાર્કિંગ માટે 18 પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 50 હજાર વાહન પાર્ક થઈ શકશે.
સ્ટેડિયમ ખાતે ગોઠવવામાં આવ્યો ચુસ્ત બંદોબસ્ત
મોટી સંખ્યામાં લોકો મેચ જોવા આવવાના હોવાથી સ્ટેડિયમ ખાતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડિયમ ખાતે કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. સ્ટેડિયમની બહાર રાષ્ટ્રધ્વજ, ટોપી, ટી-શર્ટ સહિતની વસ્તુઓ વેચાઈ રહી છે.
આ એપ્લિકેશનથી બુક કરી શકાશે પાર્કિંગ
મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો આવવાના હોવાથી સ્ટેડિયમની આજુબાજુ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાર્કિંગ માટે નક્કી કરાયેલા 18 પ્લોટમાં 50 હજાર વાહન પાર્ક થઈ શકશે. મેચ જવા આવનાર દર્શકો પાર્કિગ માટે SHOW MY PARKING એપ્લિકેશનની મદદ લઈ શકે છે. તેઓ આ એપ દ્વારા પાર્કિંગ બુક કરી શકશે. તેઓએ ફોર વહીલર પાર્કિંગ માટે રૂ.200 અને ટુ વહીલર પાર્કિંગ માટે 50 રૂપિયા ઓનલાઇન ચૂકવવાના રહેશે.
12 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે
30 જાન્યુઆરી બાદ મેટ્રોનો સમય સવારે 7થી 10 કરવામાં આવ્યો છે. પરંતુ આજની ક્રિકેટ મેચને લઈ મેટ્રો ટ્રેન રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદ ટ્રાફિક પશ્ચિમ ડીસીપી નીતા દેસાઈએ લોકોએ શક્ય હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધુ ઉપયોગ કરવાની અપીલ કરી છે.
આ રસ્તા 2 વાગ્યા સુધી રહેશે બંધ
આજે બપોરના 3 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી મેચના કારણે કેટલાક રસ્તાઓ બંધ રહેશે. આજે રાત્રે 2 વાગ્યા સુધી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટથી કૃપા રેસિડેન્સી ટી થઈને મોટેરા ટી સુધીનો રસ્તો બંધ રહેશે.
સોમવારે બંને ટીમો પહોંચી ચૂકી છે અમદાવાદ
આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ટી20 મેચને લઈ ક્રિકેટ ચાહકોમાં આતુરતા છે. બંને ટીમો અંતિમ મેચને લઈ સોમવારે અમદાવાદ પહોંચી ચુકી છે. બીસીસીઆઈએ અમદાવાદ પહોંચ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેને ક્રિકેટ ચાહકોએ ખૂબ પસંદ કર્યો છે. અમદાવાદમાં ટી20 સિરીઝની રોમાંચ ભરી મેચ જોવા મળશે. સિરીઝમાં બંને ટીમો બરાબરી પર છે. આવી સ્થિતીમાં બંને ટીમો માત્ર મેચ જ નહીં પરંતુ સિરીઝ જીતવા દમ લગાવશે. ભારત વનડે સિરીઝમાં ન્યુઝીલેન્ડની ટીમના સુપડા સાફ કરી ચુક્યું છે. હવે ટીમ ઈન્ડિયા ટી20 સિરીઝમાં પણ 2-1 થી સિરીઝ જીતવા માટે પુરી તાકાત લગાવી દેશે.