બોપલમાં પાણીની ટાંકી તૂટ્યા બાદ હવે અમદાવાદ કોર્પોરેશન જાગ્યું છે. હવે અમદાવાદમાં 50 જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવશે. લોકોની ફરિયાદ બાદ આ તમામ ટાંકીનો તોડવાનો નિર્ણય કરાયો છે.
બોપલમાં સંસ્કૃતિ ફલેટ પાસે આવેલી ર૦ વર્ષ જૂની અને એક લાખ લિટર પાણી ભરેલ ૩૦ ફૂટ ઊંચી ઓવરહેડ ટાંકી સોમવાર તા.૧ર ઓગસ્ટે ધડાકાભેર તૂટી પડતાં ત્રણનાં મોત થયાં અને છ વ્યક્તિને ઇજા થઇ હતી. જ્યારે નિકોલમાં ભોજલધામ પાસે ર૩ કરોડના ખર્ચે બનતી ૩૭ લાખ ગેલનની ક્ષમતાની ભૂગર્ભ ટાંકીના ધાબાનો સ્લેબ ધડાકાભેર તૂટી પડતા છ જણાં ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ ઘટના બાદ અમદાવાદ કોર્પોરેશન જાગ્યું છે ગઇકાલે ગોતામાં આવેલી 60 વર્ષ જૂની જર્જરીત ટાંકીને તોડી પડાઈ છે. જ્યારે હજુ 45થી વધું જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવશે.
અત્યાર સુધી ગોતા અને ચાંદખેડાની ટાંકી તોડી પાડવામાં આવી છે. ત્યારે હવે આગામી દિવસમો 45થી વધુ ટાંકી તોડી પાડવામાં આવશે. જોધપુર-ઓગણજ-વસ્ત્રાલની ટાંકી પણ ટૂંક સમયમાં તોડાશે. હાલ અમદાવાદમાં 50થી વધારે જર્જરિત ટાંકીઓ છે. જેમાં સૌથી વધુ અમદાવાદના ઉત્તર ઝોનમાં સૌથી વધુ 14 જર્જરિત ટાંકીઓ છે. જ્યારે દક્ષિણ-પશ્નિમ ઝોનમાં 12 ટાંકી અને પુર્વ ઝોનમાં 6 ટાંકી જર્જરીત અવસ્થામાં છે. તો દક્ષિણ ઝોનમાં 5 ટાંકી અને પશ્વિમ ઝોનમાં 5 ટાંકી જર્જરીત હાલતમાં છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બોપલની દુર્ઘટના બાદ શહેરમાં આવેલી કુલ ૧૬પ ઓવરહેડ ટાંકીનો સર્વે હાથ ધરાયો હતો. આ સર્વે મુજબ કુલ 44 ટાંકી ભયજનક જણાઇ હોઇ તેને લોકોની સલામતી માટે ઉતારી લેવાની દિશામાં તજવીજ હાથ ધરાઇ છે. સત્તાવાર સૂત્રો કહે છે સૌથી વધુ 14 જર્જરીત ટાંકી ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મળી આવી છે. પશ્ચિમ ઝોનમાં ૧૦, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૮, ઉત્તર ઝોનમાં 3, પૂર્વ ઝોનમાં ર અને એક હાઉસિંગ સોસાયટીની મળીને કુલ ૩ અને મધ્યઝોનમાં સૌથી ઓછી એક જર્જરીત ટાંકી છે. આ તમામ 44 જર્જરીત ટાંકી પૈકી મોટા ભાગની જે તે ગ્રામ પંચાયત સમયની હોઇ આશરે ર૦ થી રપ વર્ષ જૂની છે. એક બે લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતી આ જર્જરીત ટાંકીઓ ગમે ત્યારે ધરાશયી થઇને લોકોના જાનમાલ માટે જોખમી બની શકે તેમ છે. આની સાથે સાથે ટાંકીને ઉતારાયા બાદ પાણીનો પુરવઠો જાળવી રાખવાની દિશામાં પણ તંત્રએ ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે.