ઐતિહાસિક વિરાસત સમું મોઢેરાનું સૂર્યમંદિર આમ તો કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ હસ્તક છે. પણ આ પ્રવાસન સ્થળના બહારના ભાગનાં વિકાસની જવાબદારી રાજ્ય સરકારની છે. પરંતુ કમનસીબે ઐતિહાસિક વિરાસત છતાં મોઢેરા સૂર્યમંદિરના વિકાસ પરત્વે રાજ્ય અને કેદ્ર સરકારે ઉદાસીનતા જ દાખવી હોવાની વર્ષોથી ફરિયાદ ઊઠતી રહી છે. વિશ્વપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે ફાળવાયેલી ગ્રાન્ટમાંથી એક પણ પૈસો સરકાર ખર્ચી શકી નથી. વિધાનસભામાં ખુદ પ્રવાસન મંત્રીની આ કબૂલાતથી અનેક સવાલ ખડા થયા છે.
ગુજરાતમાં પ્રવાસનના વિકાસ માટે સરકાર અનેક પ્રયાસ કરી રહી છે અને તે માટે પ્રવાસન સ્થળોને વિકસાવવા કરોડો રૂપિયાનું ભંડોળ ફાળવાતું હોવાના દાવા પણ કરવામાં આવે છે. પરંતુ તેના આ દાવાઓની વિપરિત વિશ્વપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે ફાળવાયેલી ગ્રાન્ટમાંથી એક પણ પૈસો સરકાર ખર્ચી શકી નથી. વિધાનસભામાં ખુદ પ્રવાસન મંત્રીની આ કબૂલાતથી અનેક સવાલ ખડા થયા છે. ત્યારે જોઈએ આ અહેવાલ.
ઐતિહાસિક વિરાસત સમું મોઢેરાનું સૂર્યમંદિર આમ તો કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ હસ્તક છે. પણ આ પ્રવાસન સ્થળના બહારના ભાગનાં વિકાસની જવાબદારી રાજ્ય સરકારની છે. પરંતુ કમનસીબે ઐતિહાસિક વિરાસત છતાં મોઢેરા સૂર્યમંદિરના વિકાસ પરત્વે રાજ્ય અને કેદ્ર સરકારે ઉદાસીનતા જ દાખવી હોવાની વર્ષોથી ફરિયાદ ઊઠતી રહી છે. ગુજરાતની 990 વર્ષ પ્રાચીન ધરોહરને નિહાળવા દર વર્ષે દેશ વિદેશના હજારો પ્રવાસી મોઢેરા આવે છે, પરંતુ મોઢેરામાં આ પ્રવાસી માટે રહેવા કે જમવા જેવી પ્રાથમિક સુવિધાના પણ ઠેકાણા નથી.
વર્ષોથી આ મંદિરના વિકાસની વાત થાય છે પણ કોઇ નક્કર કામગીરી આજદિન સુધી થઈ નથી. બહુચરાજીનાં ધારાસભ્ય ભરત ઠાકોરે વિધાનસભામાં મોઢેરા સૂર્યમંદિરના વિકાસને લગત પ્રશ્ન ઉઠાવ્યો છે. જેમાં ચોકાવનારી હકીકત સામે આવી છે. રાજ્ય સરકારનાં પ્રવાસનમંત્રીએ મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે છેલ્લા બે વર્ષમાં 4.25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઇ હોવાનો જવાબ આપ્યો છે.
જો કે, સાથે-સાથે પ્રવાસનમંત્રીએ એ પણ કબૂલાત કરી છે કે,રાજ્ય સરકારે ફાળવેલી ગ્રાન્ટ પૈકી એક પણ રૂપિયાનો ખર્ચ નથી થયો.ત્યારે અહી સવાલ ઊભો થાય છે કે, શું મંદિરનાં વિકાસ માટે કાગળ ઉપર ગ્રાન્ટ ફાળવાઇ? અને જો રાજ્ય સરકારે ગ્રાન્ટ ફાળવી તો જવાબદાર તંત્રને બે વર્ષ દરમિયાન કોઈ કામ કરવા જેવું ન લાગ્યું? હાલ તો મોઢેરા સૂર્યમંદિરનાં વિકાસ માટે ફાળવેલા 4 કરોડ 25લાખ રૂપિયા ક્યાં ગયા તેનો તો કોઇ જવાબ આપવા જ તૈયાર નથી.
મોઢેરા સૂર્યમંદિરની વાત કરવામાં આવે તો આ મંદિર રેતિયા પ્રકારનાં પથ્થરમાંથી બનેલુ છે અને આ પથ્થરોને દર વર્ષે વેધર ઇફેક્ટ થઇ રહી છે. જો કે,રાજ્ય સરકારનાં જવાબદાર અધિકારી આ મંદિર તેમનાં હસ્તક નહીં હોવાનું કારણ આપી જવાબદારીમાંથી છટકી જાય છે. જો કે મંદિર બહારનાં ભાગની જવાબદારી રાજ્ય સરકારની છે. આ મંદિરની બહાર પ્રાથમિક સુવિધાના પણ ઠેકાણા નથી. મંદિરની બહાર આવેલા તળાવની સફાઇ અને વિકાસની અનેક વખત જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી કામગીરી નથી થઇ તેવો આક્ષેપ ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા કરાઈ રહ્યો છે.
નવાઇની વાત તો એ છે કે,રાજ્ય સરકારે બહુચરાજી મંદિરના વિકાસ માટે ફાળવેલી ગ્રાન્ટમાં પણ આ જ સ્થિતિ થઇ છે. રાજ્ય સરકારે બહુચરાજી મંદિરના વિકાસ માટે 2 કરોડ 99 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી અને આ ગ્રાન્ટનો લોકોની આસ્થા સાથે જોડાયેલા મંદિરની શિખરની ઊંચાઉ વધારવા ઉપયોગ કરવાનો હતો. મંદિરે આ ગ્રાન્ટમાંથી વર્ષ 2017માં 2 લાખ 11 હજાર અને 2018માં 1 કરોડ 58 લાખનો ખર્ચ કર્યો પણ મંદિરના શિખરની ઊંચાઇ ન વધી. ત્યારે હવે બહુચરાજી ધારાસભ્યએ આ બેદરકારી માટે જવાબદાર અધિકારી સામે પગલાં ભરવા માંગ કરી છે અને સરકાર પગલાં નહીં ભરે તો ધારાસભ્યએ ભૂખ હડતાલ અને જનઆંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.