Biparjoy Cyclone: અરબ સાગરમાં સર્જાયેલા અત્યંત શક્તિશાળી વાવાઝોડા બિપોરજોયેને લઈ વહીવટી તંત્ર એલર્ટ થયું છે. વાવાઝોડું હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.
બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સતર્ક
બિપોરજોય વાવાઝોડાને લઈ વલસાડમાં NDRFની ટીમ પહોંચી
દ્વારકામાં સંભવિત વાવાઝોડાને પગલે દરિયામાં અસર
અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોએ ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા નજીકથી પસાર થાય તેવું અનુમાન છે. હવે બિપોરજોય પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે. વાવાઝોડાનો માર્ગ બદલાતાં ફરી ચિંતા વધી ગઈ છે. આ સંભવિત બિપોરજોય વાવાઝોડાને કારણે હાલમાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે.
કોસ્ટગાર્ડે હવાઇ નિરીક્ષણ કર્યુ
અમરેલીમાં સંભવિત વાવાજોડાના પગલે કોસ્ટગાર્ડની ટીમો એલર્ટ થઈ છે અને પોરબંદરથી જાફરાબાદ દરિયામાં કોસ્ટગાર્ડે હવાઇ નિરીક્ષણ કર્યુ છે. માછીમારો માછીમારી ન કરે તે માટે નિરીક્ષણ કર્યુ છે. કોસ્ટલ બેલ્ડ પર કોસ્ટગાર્ડની ટીમોએ સર્ચ હાથ ધર્યું છે.
NDRFની ટીમ વલસાડ પહોંચી
વલસાડમાં બિપોરજોય વાવાઝોડાની અગાહીને પગલે વલસાડનું તંત્ર સતર્ક થયું છે તેમજ NDRFની ટીમ વલસાડ પહોંચી છે તેમજ રાહત અને બચાવના સાધનો એલર્ટ મોડમાં છે, અત્રે ઉલ્લેખનીય છે કે, તિથલ અને નારગોલનો દરિયા કિનારો બંધ કરાયો છે. દરિયા કિનારાના 28 ગામોને એલર્ટ કરાયા છે અને જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં NDRFની ટીમ તૈનાત રહેશે.
મહાકાય વૃક્ષ ભારે પવનને લઈ ધારાશાયી
વલસાડના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાને પગલે ભારે પવન ફૂંકાયો છે અને નારગોલના દરિયા કિનારે ભારે પવનની શરૂઆત થઈ છે ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સૂચના આપી છે. શહેરના બેચર રોડ પર મહાકાય વૃક્ષ ભારે પવનને લઈ ધારાશાયી થયો છે. વૃક્ષ પડતા બાઇક પર સવાર 2થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, સ્થાનિકોએ બાઇક સવાર ઇજાગ્રસ્ત પરિવારને બહાર કાઢ્યો હતો અને પાલિકાની બેદરકારીને કારણે જૂના અને મોટા વૃક્ષો ન હટાવાતા ઘટના ઘટી હોવાની ચર્ચા છે.
તેજ પવન સાથે દરિયામાં કરંટ
દ્વારકામાં સંભવિત વાવાઝોડાને પગલે દ્વારકાના દરિયામાં અસર જોવા મળી છે. તેજ પવન સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો છે, 12થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છે. ગોમતીઘાટ,ભડકેશ્વર અને ગાયત્રી મંદિર તેમજ લાઇટહાઉસ સહિત દરિયાઇ વિસ્તારમાં ઉંચા મોજા ઉછળ્યા છે તેમજ ઓખા બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે, આવતીકાલથી અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે
આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરાયો
બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં તંત્ર સતર્ક બન્યું છે. કોસ્ટ ગાર્ડે આઉટરીચ પ્રોગ્રામ શરૂ કર્યું છે. દરિયા નજીક માછીમારો ન જાય તે માટે આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરાયો છે અને દરિયામાં રહેલા જહાજ અને બોટોને કોસ્ટ ગાર્ડે સૂચના આપી તેમજ કોસ્ટ ગાર્ડે જહાજ, વિમાન અને રડારથી જહાજોને માહિતી મોકલી છે.
સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
બિપોરજોય વાવાઝોડાને લઈ સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને મંત્રી મુકેશ પટેલ અને MLA સંદીપ દેસાઈએ સુવાલી બીચની મુલાકાત લીધી છે. સુવાણી બીચ પાસેના ગામના લોકોએ સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. બિપોરજોય વાવાઝોડાને લઈ મંત્રી મુકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને ગામના લોકો માટે રહેવાથી લઈ જમવા સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ વાવાઝોડું અત્યારે પોરબંદરથી 680 કિમી દૂર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રો-રો ફેરીને પણ 2 દિવસ માટે બંધ કરવામાં આવી છે અને સુરતના તમામ ધારાસભ્યો અને તલાટીઓ પણ સતત નજર રાખી રહ્યા છે તેમણે કહ્યું કે, તમામ કર્મચારી અને અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.
આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આજે અમરેલી, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી અને અમદાવાદમાં વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. આવતીકાલથી પવનની ગતિમાં પણ વધારો થશે.
બિપોરજોય પોરબંદરથી 640 કિલોમીટર દૂર
આ વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. બિપોરજોય વધુ આક્રમક બનીને આગળ વધી રહ્યું છે. બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોયને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે. આ વાવાઝોડું ધીમે-ધીમે નજીક આવી રહ્યું છે.
4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદ થઈ શકે છે. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. જ્યારે 13 જૂને પવન 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે.
તિથલ બીચ 14 જૂન સુધી બંધ
વલસાડના તિથલ બીચ પર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે તિથલ બીચને 14 જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વલસાડના મામલતદારે જણાવ્યું છે કે, "અમે માછીમારોને દરિયામાં ન જવા કહ્યું હતું અને તેઓ બધા પાછા આવી ગયા છે. જો જરૂર પડશે તો દરિયાકાંઠાની નજીક આવેલા ગામડાઓના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે. તેમના માટે આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે, અમે 14 જૂન સુધી તિથલ બીચને પ્રવાસીઓ માટે બંધ કરી દીધો છે. વલસાડના ત્રણ કિલો મીટર લાંબા તિથલ બીચ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી સહેલાણીઓને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.''