રાજ્યમાં ગૌવંશમાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. જામનગર, દ્વારકા ઉપરાંત પોરબંદરના ગૌવંશોમાં પણ લમ્પી વાયરસ જોવા મળતા પોરબંદર પશુપાલન વિભાગ દોડતું થયું છે.
પોરબંદર જિલ્લામાં લમ્પી વાયરસનો પગપેસારો
8થી 9 પશુઓમાં લમ્પી વાયરસ દેખાયો
પશુઓને આઇસોલેશન સેન્ટર ખસેડવામાં આવ્યા
કેરળ અને મહારાષ્ટ્ર બાદ સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસે પગપેસારો કર્યો છે. જામનગર બાદ હવે પોરબંદરમાં લમ્પી વાયરસ જોવા મળ્યો.
પોરબંદર જિલ્લામાં 8થી 9 પશુઓમાં લમ્પી વાયરસ દેખાયો. પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલન વિભાગ સક્રિય થયુ છે. જીઆઇડીસી વિસ્તારમાં નક્કી કરાયેલા એરિયામાં આઇસોલેશન વિભાગ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં અસરગ્રસ્ત પશુઓને રાખવામાં આવી રહ્યા છે. પશુઓ માટે જામનગરથી બે હજાર જેટલા રસીના ડોઝ મંગાવવામાં આવ્યા છે.
તંત્રને તાત્કાલિક કામગીરી કરવા કર્યુ સૂચન
આ મામલે પોરબંદર ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને તેમજ પશુ નિયામક અધિકારીને લેખિતમાં ફોટા સાથે જાણ કરી છે. રજૂઆતમાં એવું જણાવ્યું હતું કે પોરબંદરના ગૌવંશમાં પગમાં સોજા, તાવ આવવો, નાકમાંથી ચીકણું પ્રવાહી નિકળવું તથા શરીર પર ચકામાં જેવા લમ્પી વાયરસ જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. જેને લઇને વહેલી તકે સારવાર, આઇસોલેશન અને વેક્સિનેશન માટેની યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો વધુ પશુઓમાં આ ચેપી રોગ ફેલાવાની અને ગંભીર પરિસ્થિતી સર્જાવાની શક્યતા રહેલી છે.
રાજકોટ-જામનગરમાં પણ લમ્પી વાયરસના કેસ
મહત્વનું છે કે જામનગરમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળતા પશુ વિભાગની ટીમો દોડતી થઇ હતી. 18 જેટલા પશુઓના મોત નીપજ્યા હતા. ત્યારબાદ રાજકોટના થોરિયાળી ગામમાં 25 પશુમાં લમ્પી વાયરસ જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્રએ પશુઓમાં વાયરસ અટકાવવા માટે કાર્યવાહી પણ શરૂ કરી હતી. જે અંતર્ગત જિલ્લાની 2400 જેટલી ગાયને રસીનો ડોઝ આપવામાં આવશે.