મોરબીના સ્વીટ સિરામિક ફેકટરીના સંચાલકો દ્વારા અનોખી સેવા પૂરી પાડી રહ્યા છે. તેઓ કોરોનાના દર્દીઓ માટે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીનની ફ્રીમાં સેવા પૂરી પડાય છે.
ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીન આશીર્વાદ રૂપ
6 ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીનની કમાલ
લાલભાઈ પટેલની અનોખી સેવા
મોરબીમાં સ્વીટ સિરામિકના માલિક લાલભાઈ દ્વારા ગત વર્ષે તેમના સ્વજનને કોરોના થયા બાદ ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીન ખૂબ જ ઉપયોગી નિવડતા આ વર્ષે કોરોના મહામારીમાં અન્ય લોકોને મદદરૂપ થવા પંજાબથી 6 ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીન મંગાવ્યા છે. અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક સેવા પૂરી પાડી રહ્યા છે. હાલમાં મોરબી જિલ્લાના ઓક્સિજન સિલિન્ડરની ખૂબ જ અછત છે. ત્યારે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓએ આ ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીનથી મદદરૂપ થઇ લાલભાઈ અનોખી સેવા કરી રહ્યા છે.
સદભાવના હોસ્પિટલનું કોરોના સેન્ટર બંધ કરવું પડે તેવી સ્થિતિ
તો બીજી તરફ મોરબીમાં ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનના અભાવે સદભાવના હોસ્પિટલને પોતાનું ડેઝીગનેટેડ કોરોના સેન્ટર બંધ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના સંચાલકોએ કલેક્ટરને પત્ર લખીને ડેઝીગનેટેડ સેન્ટર બંધ કરવા અપીલ કરી છે. આથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 37 કોરોના દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. જો કે હોસ્પિટલ સંચાલકો દ્વારા આ ગંભીર દર્દીઓના જીવ બચાવવા હાલ સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ સિવાય અન્ય હોસ્પિટલોને નથી અપાતું ઓક્સિજનઃ ડૉ.જયેશ પટેલ
સદભાવના હોસ્પિટલના સંચાલક ડૉ.જયેશ પટેલે રાજકોટ કલેક્ટર પર આક્ષેપ કર્યો છે કે, છેલ્લા બે દિવસથી રાજકોટ કલેકટરે ઓક્સિજન પ્લાન્ટ ઉપર પોતાના માણસો બેસાડ્યા છે અને રાજકોટ સિવાય અન્ય હોસ્પિટલ માટે ઓક્સિજન આપવાનું બંધ કરતા મોરબીને ઓક્સિજન મળતો નથી. આ સમગ્ર મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પ્રસાશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તો બીજી તરફ ભુજથી ઓક્સિજન મંગાવવામાં આવ્યો છે. પરંતુ 24 કલાક વીત્યા બાદ પણ ત્યાંથી ઓક્સિજનની ગાડી ન આવતા હાલ સદભાવના હોસ્પિટલમાં 24 કલાક ચાલે તેટલો જ ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ છે. આથી સદભાવના હોસ્પિટલને પોતાનું ડેઝીગનેટેડ કોરોના સેન્ટર બંધ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
જો ઓક્સિજન નહીં મળે તો ઘણા દર્દીઓના મૃત્યુ થશેઃ પૂર્વ ધારાસભ્ય
મોરબીમાં ઓક્સિજનની અછતને લઇ પૂર્વ ધારાસભ્યની અપીલ કરી છે. પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સરકારને અપીલ કરી જણાવ્યુ છે કે મોરબીની તમામ હોસ્પિટલમાં સાંજ સુધી ચાલે તેટલો ઓક્સિજન છે. જો ઓક્સિજન નહીં મળે તો ઘણા દર્દીઓના મૃત્યુ થશે. તેમજ અન્ય જિલ્લાઓમાંથી આવતો ઓક્સિજન સપ્લાય બંધ થઇ ગયો છે.