અમદાવાદના કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિર 6 મહિના બાદ ફરીવાર શ્રદ્ધાળુઓ માટે ફરીવાર ખુલ્લું મુકવામાં આવ્યું છે. આજે મંદિર ખુલ્યા બાદ પ્રથમ દિવસે ભગવાન સ્વામિનારાયણને 3000 સફરજનનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
સ્વામિનારાયણ મંદિરનું સરાહનીય કાર્ય
6 મહિના બાદ મંદિર ખુલ્યા બાદ ભગવાનને ધરાવાયા 3 હજાર સફરજન
ઉલ્લેખનીય છે કે, ભગવાનને અર્પણ કરાયેલ આ સફરજન COVID-19 પોઝિટિવ દર્દીઓ અને આરોગ્ય કામદારોમાં વહેંચવામાં આવશે. કોરોનોવાયરસ મહામારીને કારણે મહિનાઓ સુધી બંધ રહ્યા બાદ મંદિરને ફરીથી ખોલવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. એક મંદિરના પૂજારીએ ન્યૂઝ એજન્સી એએનઆઇને કહ્યું કે, "પૂજા કર્યા પછી સફરજન કોવિડ -19 પોઝિટિવ દર્દીઓ અને આરોગ્યકર્મીઓમાં વહેંચવામાં આવશે."
રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,52,765 પર પહોંચ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50,979 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1169 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,52,765 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 87.55 ટકા થયો છે.
3,577 દર્દીઓના થયાં મોત
આજે 1442 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,33,752 પર પહોંચ્યો છે. આજે 08 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,577 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 15,436 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 50,12,705 ટેસ્ટ કરવામાં આવ્યા છે. મહાનગરો બાદ મહેસાણા જિલ્લામાં સૌથી વધુ 151 દર્દીઓ સાજા થયા છે.