વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આજે ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો. આજે પોષી પૂર્ણિમાના નિમિતે ભગવાનને વિશેષ શણગાર કરવવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાને શરુ કરેલ શાકોત્સવને 200 વર્ષ પૂર્ણ થયા છે.
200 વર્ષ પહેલા ભગવાન સ્વમિનારાયણને 60 મણ રીંગણનું શાક બનાવી સંતોને જમાડ્યા હતા
વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે પોષસુદ પૂનમના રોજ ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો. ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પૂર્વે લોયાના સુરાખાચરના દરબારમાં 12 મણ ઘીનો વઘાર મૂકીને 60 મણ રીંગણનું શાક બનાવીને સંતો અને ભક્તોને ભાવથી જમાડ્યા હતા. ત્યારથી શાકોત્સવની શરૂઆત થઇ હતી. શાકોત્સવ એટલે લોયાની સ્મૃતિ અને હવે તે સ્વામિનારાયણ સંપ્રદાય માટે એક પરંપરા બની ગઇ છે. સ્વામિનારાયણના મોટા મંદિરોમાં દર વર્ષે શાકોત્સવ ઉજવાય છે.
આજે 200 વર્ષ પૂર્ણ થતા આ નિમિત્તે આજે 125 મણ રીંગણનું શાક અને 45 મણ લોટના રોટલા બનાવ્યા હતા. જે દર્શનાર્થે આવેલ હજારો ભક્તોને પીરસવામાં આવ્યો હતો. આજે પૂર્ણિમાના દર્શન સાથે ભવ્ય શાકોત્સવનો હજારો ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શું છે શાકોત્સવનું મહત્વ જાણો
ધારાશાસ્ત્રી દેવ સ્વામીના જણાવ્યા અનુસાર, સવંત 1879ની સાલમાં લોયા ગામે શ્રી સુરાબાપુના આમંત્રણથી લોયા ગામમાં સ્વામિનારાયણ ભગવાનની સાથે 500 પરમહંસો અને હજાર હરિભક્તોના સમુદાયમાં બે મહિના સુધી નિત્ય ઉત્સવ ઉજવ્યા હતા. તેમાં 40 રસોઈ ઝાલાવાડના હરિભક્તોની હતી. ખોલડિયાદ ગામના ખેંગારભાઈ સિંધવ તથા રૂડાભાઈ સિંધવ આ ઉત્સવમાં શ્રી હરિ અને સંતો-ભક્તોને જમાડવા માટે પોતાના ઘેરથી ઘરની ભેંસોનું 9 મણ ઘી બન્ને ભાઈઓ ગાડામાં લોયા લાવ્યા હતા. ભગવના સ્વામિનારાયણને કહ્યું કે હે મહારાજ આ આટલી અમારી ઘીની સેવા સ્વીકારો અને સંતોને ધી જમાડો.
જેને બિરદાવતા સ્વામિનારાયણે કહ્યું કે, આપણે કંઈક નવીન કરીએ માટે તમો ચુડા રાણપુર આજુબાજુના ગામોમાંથી રીંગણા લઇ આવો પછી તેનો શાકોત્સવ કરીએ પછી બંને ભાઈ રીંગણાની તપાસ કરતા કરતા ખસ ગામ આવ્યા અને ત્યાં એક હરિ ભક્ત સત્તવારા હતા. તેમની વાડીમાંથી 60 મણ રીંગણા વેચાતા લીધા હતા. બાદમાં આ રીંગણા લઈને લોયા આવ્યા. રીંગણા સરસ જોઈને ભગવાન સ્વામિનારાયણ રાજી થયા અને તેને ધોઇને ચાર ચીરો કરાવી અને તેમાં હવે જ ભરીને મોટા રંગળો મૂકીને ચુલા ઉપર ચડાવ્યા તેમાં હળદર, જીરુ, મીઠું અને મસાલો વગેરે જેટલા ભક્તજનો આપે તેટલો તેમાં ભગવના સ્વામિનારાયણ પોતે નાખતા અને તેમાં 18 મણ ઘીનો વઘાર મૂક્યો હતો.
60 મણ રીંગણા જુદા-જુદા રીંગણા ચૂલા ઉપર ચડવા મુક્યા હતા. પછી શાક જ્યારે ચડી જવા આવ્યું ત્યારે લીલી જારના રાડાને વાળી તેનો ભારો નાનો કરેલો તેનાથી દબાવીને જોયું તો સરસ રીતે ચડી ગયું છે. ત્યારબાદ પીરસનારા સ્વામિનારાયણ પોતે હતા. સંતો-ભક્તો મીઠાઈ ન લેતા એકલુ શાક જમતા હતા. આ શાકમાં જેને જેવો સંકલ્પ હતો એ મીઠાઇનો સ્વાદ તેમને શાકમાં આવતો હતો. આ શાકોત્સવ ભગવાને 200 વર્ષ પૂર્વે કર્યો હતો. આજે સમગ્ર સંપ્રદાયમાં શાકોત્સવની સ્મૃતિમાં ગામોગામ નાના મોટા મંદિરોમાં શાકોત્સવ ઉજવીને ભક્તજનો પ્રસાદ લે છે.