અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટની જમીન પચાવી પાડવા કારસો રચાયો હોવાની મંદિરના ટ્રસ્ટીએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીએ નોંધાવી ફરિયાદ
અમદાવાદના મણીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
4 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીએ 4 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. ઘોડાસર સ્મૃતિ મંદિરની પાસે આવેલી જમીન પચાવી પાડવાના ઇરાદાથી આ ચારેય શખ્સોએ ખોટા વેચાણ કરાર કરાવી પાવર ઓફ એટર્ની આધારે વેચાણ કરાવી લીધા હતા એટલું જ નહી મંદિરના ટ્રસ્ટની ઓફિસ ખાતે જઈને ટ્રસ્ટીને અને સંતો-મહંતોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સમાધાન કરવા માટે આરોપીઑ ધમકી આપતા મામલો પહોંચ્યો પોલીસ મથકે
આ કેસની જાણવા મળતી વિગત અનુસાર મણીનગરના સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી હરજીવન પટેલ મણિનગર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપી તુષાર પટેલ, સમીમબાનુ અન્સારી, મઝહર અબ્બાસ બુખારી અને સહેનાજબાનુ બુખારી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે સ્વામિનારાયણ ટ્રસ્ટની માલિકીની જમીન ઘોડાસરમાં સ્મૃતિ મંદિર પાસે આવેલી છે, જે જમીનમાં આ આરોપીઓએ ખોટા હક દાવા લખાણો ઊભા કરી જમીન પચાવી પાડવા કારસો રચ્યો હતો. તેમજ હરજીવન પટેલને સમાધાન કરવા માટે ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ચારેય આરોપીઓને પકડવા અને ઊંડી તપાસ હાથ ધરતી પોલીસ
હરજીવન પટેલને થોડા સમય પહેલા જાણ થઈ હતી કે જમીનના મૂળ માલિકોના નામની પાવર ઓફ એટર્ની કોઈ વલી મોહમ્મદ શેખ નામની વ્યક્તિએ બનાવીને તેનો ઉપયોગ કર્યો હતો. મૂળ ખેડૂતો પૈકી ફક્ત ત્રણ બહેનોના ભાગની જમીન બાબતે આરોપી તુષાર પટેલે પોતાના નામે રજીસ્ટર વેચાણ કરાર કરાવી બોગસ કાર્યવાહી કરી રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી પડાવી છે. ત્યારબાદ તુષાર પટેલ ટ્રસ્ટની ઓફિસે આવી વેચાણ કરાર બતાવી મૂળ ખેડૂત બહેનોના ભાગની જમીન પોતે ખરીદી છે તેવું કહીને બહેનોના ભાગની જમીન પડાવી લેવા માટે ધમકીઓ આપતો હતો.
આથી હરજીવન પટેલે તપાસ કરતા આરોપીઓએ ભેગા મળીને અલગ અલગ ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હોવાનું ભોપાળું છતું થયું હતું અને મૂળ સાત ખેડૂતો પૈકી ફક્ત ત્રણ બહેનોની આંશિક પાવર વાપરી ફક્ત બહેનોના ભાગ પૂરતી જમીનનો વેચાણ કરાર તુષાર પટેલે કરાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે મણીનગર પોલીસે છેતરપિંડી સહિત ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવા અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે ચારેય આરોપીઓને પકડવાની તજવીજ અને ઊંડી તપાસ હાથ ધરી છે.