ઇતિહાસમાં અનેક ઘટના એવી બની ગઇ છે જે આપણા ઇતિહાસના પાના પર સ્થાન પામેલી છે. તે તમામ ઘટનાઓમાંથી એક ઘટના જે આજે બની હતી. તેને ભારતના ઓછા લોકોને યાદ કરશે પરંતુ વિદેશની ધરતી આજે પણ એક મહાન વ્યક્તિત્વને યાદ કરે છે.
આજના દિવસે એક એવી વ્યક્તિનું અવસાન થયું હતું કે જેણે બહુ નાની ઉંમરમાં સમાજને ઘણું બધુ આપ્યું છે અને હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવી છે.
આપણી એક પરપરા રહેલી છે કે કોઇ જાણીતી વ્યક્તિના વિચારોને વાંચવાની તસ્દી જરૂર લઇએ છીએ પરંતુ તે વિચારને જીવનમાં અમલી બનાવવાનું ભાગ્યે જ સૂઝે છે.
આજે ભારતના એક એવા સપૂતની પૂણ્યતિથી છે જેના રંગે અમેરિકા રંગાયું હતું ગણતરીની મિનીટો બોલવાની તક મળે તેવી આતંરરાષ્ટ્રીય ધર્મસભામાં આ વ્યક્તિના એક વાક્ય પર સૌ ઓવારી ગયા હતા. જી હા હું સ્વામી વિવેકાનંદની વાત કરુ છું.
4 જૂલાઇ..આજના દિવસે એટલે કે 4 જૂલાઇ 1902ના રોજ સ્વામી વિવેકાનંદનું અવસાન થયું હતું. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યૂઆરી 1863માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરિવારમાં થયો હતો. પિતાના બૌદ્ધિક દિમાગની અને માતાના ધાર્મિક સ્વભાવની વિવેકાનંદજી પર અસર પડી હતી.
ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં નિકળેલા નરેન્દ્રનાથ દત્તને ભારતના આધ્યાત્મિક સંત રામકૃષ્ણ સાથે ભેટો થયો અને નરેન્દ્ર તેમના શિષ્ય બની ગયા.
ઉલ્લેખનીય છે કે ગુરુના અવસાન બાદ તેમણે સમગ્ર ભારતનું ભ્રમણ કરી ભારતની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. 1897માં તેમણે રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે.
19મી સદીના અંતે હિન્દુધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. તેઓ "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા હતા.
આ ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન 1893માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. 4 જૂલાઇ 1902ની સવારે વિવેકાનંદજી સ્વામી પ્રેમાનંદ સાથે ચાલવા ગયા હતા અને રામકૃષ્ણ મઠના ભવિષ્યને લગતી સૂચનાઓ આપી હતી.અને ત્યારબાદ ધ્યાનાવસ્થામાં નવ વાગ્યેને દસ મિનિટે સ્વામી વિવેકાનંદનું અવસાન થયું હતું.
કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.)