ભારત વિશ્વના 9 દેશોમાં સ્થાન પામે છે જ્યાં સફાઈ કામદારો માટે પરિસ્થિતિ નર્ક સમી છે. સરકાર વડે દેશમાં 9.5 કરોડ શૌચાલયયોનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ શૌચાલય અને ખાળકુવા સાફ કરનાર સફાઈકર્મીઓની દશામાં કોઈ સુધારો થયો નથી અને શૌચાલયોની સંખ્યા વધવાથી તેમની સ્થિતિ વધુ વણસશે એવી શંકા સેવાઈ રહી છે.
દેશમાં સ્વચ્છ ભારત અભિયાનથી કરોડો નવા શૌચાલયો બનવાયા છે પરંતુ શૌચાલયોનો ઉપયોગ વધવાથી તેને હાથેથી સાફ કરવા વાળા સફાઈ કામદારોની સંખ્યામાં વધારો થશે તેવું એક અહેવાલમાં જણાવાયું છે. આ શૌચાલયો ઉભરાઈ જતા સમય સમય ઉપર તેને ખાલી કરવા જરૂરી બને છે. આ પરિસ્થિતિમાં શૌચાલય અને ખાળકુવા સાફ કરનાર સફાઈકર્મીઓની દયનીય પરિસ્થિતિ વધુ ખરાબ થશે તેવી શંકા સેવાઈ રહી છે.
આ પરીક્ષણમાં 4 રાજ્યોમાં હાથથી શૌચાલય અને ખાળકુવા સાફ કરનાર 1686 સફાઈકર્મીઓનો અભ્યાસ કરાયો હતો જેમાંથી 92.35% સ્ત્રીઓ હતી. આ પૈકી 36% કામદારોએ હિંસાનો ભોગ બન્યા હોવાનું અને 50% કામદારોએ અસ્પૃશ્યતાનો ભોગ બન્યા હોવાનું સ્વીકાર્યું હતું.
હાથથી શૌચાલય અને ખાળકુવા સાફ કરવાની પ્રક્રિયા ઉપર Employment of Manual Scavenging and Construction of Dry Latrines (Prohibition) Act 1993 મુજબ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ જુલાઈ 2019માં સરકારી મંત્રાલય દ્વારા આવા કામદારોની દેશના 18 રાજ્યોમાં 54130 જેટલી સંખ્યા હોવાનું સ્વીકારાયું હતું.
ટ્વીન પીટ શૌચાલય
ઓક્ટોબર 2018માં પેયજળ અને સફાઈ મંત્રાલયના સેક્રેટરી પરમેશ્વરન ઐયરે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે સરકારે બાંધેલા આશરે 90% શૌચાલય ટ્વીન પીટ છે. ટ્વીન પીટ શૌચાલયમાં મળને કોમ્પોઝિટ ચેમ્બરમાં દાખલ કરીને તેનું વિઘટન કરવામાં આવે છે જેથી હાથથી શૌચાલય અને ખાળકુવા સાફ કરવાની જરૂરિયાત રહેતી નથી.
વાસ્તવિકતામાં રાષ્ટ્રીય વાર્ષિક ગ્રામીણ સ્વચ્છતા સર્વે 2017-2018ના આંકડા મુજબ સરકારના ફક્ત 13% શૌચાલયો ટ્વીન પીટ છે અર્થાત 85%થી વધુ શૌચાલયોને હાથથી સાફ કરવા પડશે.
દેશના નેશનલ સેમ્પલ સર્વે 2017ના અહેવાલ મુજબ દેશના શહેરી વિસ્તારોમાં 56.4% અને ગ્રામીણ વિસ્તારોમાં ફક્ત 36.7% લોકો ગટર લાઈન સુએજ સિસ્ટમની સુવિધા મેળવે છે. જો કે નિષ્ણાતોના મતે તો ગટર લાઈન સુએજ સિસ્ટમમાં પણ એક સમય પછી સફાઈ માટે હાથેથી સફાઈ કરતા કામદારોની જરૂરિયાત રહે છે.
સુપ્રીમ કોર્ટે 2014માં એક નિવેદન આપ્યું હતું કે હાથથી શૌચાલય અને ખાળકુવા સાફ કરનાર કામદારોમાં 95% કામદારો દલિત હોય છે.
રાજ્ય સરકારોની મૃતક સફાઈ કામદારોનો પરિવારને વળતર આપવામાં ઢીલ
WaterAidના અહેવાલ મુજબ ભારતમાં દર 5 દિવસમાં 3 સફાઈ કામદારો મોટને ભેટે છે. આ પરિસ્થિતિ સામે નેશનલ સફાઈ કામદાર કમિશન વડે રાજ્યોની સરકારને હાથથી શૌચાલય અને ખાળકુવા સાફ કરનાર કામદારોના કુલ મૃત્યુનો આંકડો અને તેને લગતી માહિતી મંગાવવામાં આવી હતી.
'ધ વાયર' ન્યુઝ એજન્સીએ કરેલ RTI પ્રમાણે ફક્ત 20 રાજ્યોએ આ માહિતી મોકલાવી હતી જયારે બાકીના રાજ્યોએ કોઈ પ્રત્યુત્તર આપ્યો નહોતો. ઘણા મૃત્યુની નોંધનીય કરવામાં પણ આવી નથી તેવો સામાજિક કાર્યકરોનો આક્ષેપ છે. ઘણા રાજ્યોએ સુપ્રીમ કોર્ટનો મૃતકના પરિવારને 10 લાખનું વળતર આપવાનો આદેશ પણ અનુસર્યો નથી.
સફાઈ કામદારોના મોત
આ પ્રકારની સફાઈ સમયે એમોનિયા, કાર્બન મોનોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ છુટા પડે છે અને સફાઈ કામદાર આ વાયુઓ સીધા શ્વાસમાં લે છે. દુઃખની વાત એ છે કે એક અહેવાલ પ્રમાણે આ કામદારો 50 થી 60 વર્ષ જેટલું જ આયુષ્ય ભોગવી શકે છે. 2015ના એક સર્વે પ્રમાણે મુંબઈ મહાનગર પાલિકાના 69.1% કામદારો સરકાર તરફથી મળેલા સુરક્ષા સાધનોનો ઉપયોગ સફાઈ વખતે નથી કરતા કારણ કે આ સાધનો ખરાબ ગુણવત્તાના અને અગવડતાભર્યા છે.
સુપ્રીમ કોર્ટે આ પરિસ્થિતિ અંગે ખૂબ લાગણીશીલ નિવેદન કર્યું હતું કે દુનિયાનો કોઈ એવો દેશ નહિ હોય જે પોતાના જ લોકોને આ પ્રકારની ગેસ ચેમ્બર ધકેલી દેતો હોય. ગરીબીના કારણે કોઈએ આવી અમાનવીય પરિસ્થિતિમાં કામ કરવું પડે તે આઘાતજનક છે.
સરકારી રાહતમાં ઘટાડો
આશ્ચર્યજનક રીતે શૌચાલય અને ખાળકુવા સાફ કરનાર સફાઈકર્મીઓને મળતી કેન્દ્રીય રાહતની રકમમાં મોટો ઘટાડો થયો છે. 2013-14માં તેમના માટે 70 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા જયારે 2017-18માં 6908 કરોડના સમાજ કલ્યાણ મંત્રાલયના તોતિંગ બજેટમાંથી મામૂલી 5 કરોડ જેટલી રકમ તેમને=ઈ રાહત માટે ફાળવવામાં આવી છે.
વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ
વૈશ્વિક સ્તરે ભારત વિશ્વના 9 દેશોમાં સ્થાન પામે છે જ્યાં સફાઈ કામદારો માટે પરિસ્થિતિ નર્ક સમી છે. બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા જેવા દેશોમાં હાથથી સફાઈ કરતા કામદારો માટે સ્ટ્રેટેજી અને પોલિસીનું નિર્માણ કરવામાં આવે છે જયારે ભારતમાં આ કોઈ પ્રકારની ગણના થતી નથી.
આમ શૌચાલયો બાંધી દેવાથી દેશની સમસ્યા ઉકેલાઈ જતી નથી. આ ક્ષેત્રે હજુ ઘણું વધુ કામ કરવાની જરૂર છે.