વંધ્યત્વ નિવારણની સારવાર માટે આવેલી મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં કોરોનાકાળ વખતે પણ સેંકડો દર્દીઓની ખૂબ સારી રીતે સારવાર કરાઈ હતી. તે વખતે તમામ સરકારી હોસ્પિટલોમાં SVP હોસ્પિટલે દર્દી અને તેમનાં સગાંવહાલાંઓમાં સારી એવી ચાહના મેળવી હતી. આ હોસ્પિટલમાં અવારનવાર અનેક જટિલ પ્રકારનાં ઓપરેશનને સફળતાપૂર્વક કરવામાં આવે છે. ગઈ કાલે પણ હોસ્પિટલે એક મહિલા દર્દીની અગાઉની કેસ હિસ્ટ્રીના આધારે બાળકની પડકારજનક એવી પ્રસૂતિ કરવામાં સફળતા મેળવી હતી. અત્યાર માતા અને બાળક બંને ખુશખુશાલ હાલતમાં છે.
વંધ્યત્વ નિવારણની સારવાર માટે આવી હતી મહિલા
૨૨ વર્ષની એક મહિલા અગાઉ અધૂરા માસે બાળકને જન્મ આપવાની (પ્રી-ટર્મ ડિલિવરી) કે જેમાં ખોડખાંપણવાળું બાળક જન્મવાની અને જન્મીને તરત મૃત્યુ પામવાની ક્લિનિકલ હિસ્ટ્રી સાથે SVP હોસ્પિટલમાં વંધ્યત્વ નિવારણની સારવાર માટે આવી હતી. વંધ્યત્વ નિવારણની સારવાર માટે ગાયનેક વિભાગમાં આવેલી આ મહિલા દર્દીને અગાઉ એક વખત ગર્ભ ધારણ થયો હતો, પરંતુ પ્રસૂતિ બાદ આઠ કલાકની અંદર તેનાં બાળકનું મૃત્યુ થયું હતું.
નિઃશુલ્ક નોર્મલ ડિલિવરી કરાઈ
જોકે SVP હોસ્પિટલ ખાતે આ દર્દીની સઘન સારવાર, માર્ગદર્શન, સતત ફોલોઅપ અને કાઉન્સેલિંગનાં પરિણામે મહિલાએ બીજી વખત ગર્ભ ધારણ કર્યો હતો. આવા કિસ્સાઓમાં નોર્મલ ડિલિવરી ખૂબ પડકારજનક હોય છે, પરંતુ SVP હોસ્પિટલમાં ગાયનેક વિભાગનાં ડો. સપના શાહ અને વડાં ડો. પારુલબેન તેમજ તેમની ટીમના પ્રયત્નથી નોર્મલ ડિલિવરી કરાઈ હતી. હાલ માતા અને બાળક પૂર્ણ સ્વસ્થ હોઈ બાળકનું વજન ૩.૯૭૦ કિલો છે. આ કિસ્સામાં દર્દી પાસે પ્રધાનમંત્રી જનઆરોગ્ય કાર્ડ હોઈ તદ્દન નિઃશુલ્ક નોર્મલ ડિલિવરી કરાઈ હતી.