અમદાવાદની SVP હોસ્પિટલમાં દર્દીને શ્વાસનળીમાં ટ્યૂબ નાખીને વેન્ટિલેટર પર ખસેડવામાં નહીં આવે તો તેમનું મૃત્યુ થઇ શકે છે. તેવી વાત ડોક્ટરે દર્દીનાં સગાં વહાલાંને કરતાં મામલો બીચક્યો હતો.
SVP હોસ્પિટલમાં બબાલ
દર્દીને વેન્ટિલેટર પર નહીં રાખવા સંબંધીઓ ડોક્ટર સાથે બાખડ્યા
૧૪મી માર્ચના રોજ આ દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
શહેરની SVP હોસ્પિટલમાં દર્દીને શ્વાસનળીમાં ટ્યૂબ નાખીને વેન્ટિલેટર પર ખસેડવામાં નહીં આવે તો તેમનું મૃત્યુ થઇ શકે છે. તેવી વાત ડોક્ટરે દર્દીનાં સગાં વહાલાંને કરતાં મામલો બીચક્યો હતો. મારાં સગાં મરી જશે એવું તમારાથી કહેવાય જ કેમ? તેમ કહીને દર્દીનાં સગાંએ ડોક્ટર પાસે માફી મગાવવાની જીદ કરી હતી. પરિવારજનોની મનમાનીને કારણે દર્દીને વેન્ટિલેટર પર નહીં રાખવા દેતાં અંતે તેમનું મોત થયું હતું
SVPમાંથી લીધેલી 5 હજારની દવાઓ પણ પરત ન કરી.
SVPમાંથી લીધેલી 5 હજારની દવાઓ પણ પરત ન કરી. ત્યારે દર્દીના પરિવારજનોએ ડોક્ટર સાથે બબાલ કરતા તેમની સામે ગુનો નોંધાયો છે. એલીસબ્રિજ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
SVP હોસ્પિટલમાં આર.એમ.ઓ. ડોક્ટર તરીકે કુલદીપભાઈ જોશીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનના લલિતભાઈ વ્યાસ અને દિનેશચંદ્ર દવે વિરુદ્ધ ફરિયાદ કરી છે. ૧૨મી માર્ચના રોજ રાજસ્થાનનાં ઉષાદેવી વ્યાસને SVP હોસ્પિટલમાં સારવાર માટે ઇમર્જન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ૧૩ માર્ચના રોજ સવારે દર્દીની પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેમને શ્વાસનળીમાં ટ્યૂબ નાખીને વેન્ટિલેટર પર મૂકવાની વાત ડોક્ટરોએ તેમનાં સંબંધીને કરી હતી.
મારાં સગાં મરી જશે એવું તમારાથી કહેવાય જ કેમ?
હોસ્પિટલમાં ફરજ પરના ડો.ધાર્મિક દ્વારા દર્દીનાં સંબંધીને સમજાવવામાં આવ્યું હતું કે, જો આ દર્દીને શ્વાસનળીમાં નળી નાખી તાત્કાલિક વેન્ટિલેટર ઉપર નહીં લઈએ તો દર્દીનું મૃત્યુ સંભવી શકે છે. આ બાબતને દર્દીનાં સગાં લલિતભાઈ વ્યાસે ખોટી રીતે પોતાનાં મનમાં ઊંધું અર્થઘટન કરી ડોક્ટરને જણાવ્યું કે મારાં સગાં મરી જશે એવું તમારાથી કહેવાય જ કેમ? તેમ જણાવી ઈમર્જન્સી વિભાગના ડોક્ટરોને તેમજ તેમના પ્રોફેસર ભાવેશભાઈ તથા અન્ય ડોકટરોને જાહેરમાં માફી માગે તેમ દબાણ કર્યું હતું અને દર્દી ઉષાદેવીને વેન્ટિલેટર ઉપર રાખવા દીધા ન હતાં.
૧૪મી માર્ચના રોજ આ દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
બાદમાં ૧૪મી માર્ચના રોજ આ દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી તેમના પોસ્ટમોર્ટમને લઇને પણ લલિત વ્યાસ અને દિનેશચંદ્ર દવે બંનેએ ડોક્ટર સાથે ગેરવર્તણૂક કરી હતી. તમામ ડોક્ટરોને માફી માગવા દબાણ કર્યું હતું.
પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
આ ઉપરાંત ઈમર્જન્સી વોર્ડમાં સારવાર દરમિયાન આપેલ અંદાજે પાંચ હજારની દવાઓ વપરાઇ હતી. જે પણ દર્દીનાં સગાં દ્વારા પરત કરવામાં આવી ન હતી. જેથી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હોવાથી દર્દીના પુત્ર લલિતભાઈ વ્યાસ અને દિનેશચંદ્ર દવે સામે ડો. કુલદીપ જોશીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.