અમદાવાદની SVP હોસ્પિટલની ફરી એકવાર પોલ ખુલી ગઈ છે. 7 મહિના પહેલા જ ઉદ્ઘાટન કરાયેલી SVP હોસ્પિટલમાં વરસાદી પાણી પડી રહ્યા છે જેના કારણે હોસ્પિટલના 4 ઓપરેશન થિયએટર બંધ કરવાનો વારો આવ્યો છે.
સામાન્ય વરસાદમાં પણ હોસ્પિટલમાં પાણી ટપકી રહ્યા છે. જેના કારણે ઓપરેશન થિયેટર બંધ કરવાની ફરજ પડી છે. 7 મહિનામાં જ હોસ્પિટલની હાલત બદતર થઈ છે. હોસ્પિટલમાં 32માંથી 16 ઓપરેશન થિયેટર કાર્યરત હતા. તેમાંથી પણ 4 ઓપરેશન થિયેટર બંધ કરી દેવાયા છે.
થોડા દિવસો અગાઉ SVP હોસ્પિટલના 15માં માળે પાણી ભરાયું હતું. જ્યારે એ પહેલાં હોસ્પિટલની B-2 વોર્ડની POPની છત તૂટી પડી હતી. જેને પગલે દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ફરી પાણી ભરાવાની બેદરકારી સામે આવી હતી તો હવે 4 ઓપરેશન થિયએટર બંધ કરવાનો વારો આવ્યો છે. હજુ 7 મહિના પહેલા જ શરૂ થયેલ હોસ્પિટલની આમ બેદરકારી સામે આવતાં અનેક સવાલો ઉભા થાય છે.
અહીં સવાલ તો બિલ્ડિંગ ઉભી કરનાર અને બેદરકાર અધિકારીઓ વિરુદ્ધ ઉભો થયો છે. બેદરકારો વિરુદ્ધ કાર્યવાહી શા માટે નથી થતી. દર્દીઓના જીવ શા માટે જોખમમાં મુકવામાં આવે છે. શું લોકોના કરોડો રૂપિયા આવી રીતે જ પાણીમાં જશે. આવા અનેક સવાલ બેદરકાર અધિકારીઓ સામે ઉભા થાય છે.
VTVના સળગતા સવાલ:
કરોડોના ખર્ચે બનેલી SVP હોસ્પિટલ સવલત છે કે સળગતી સમસ્યા?
શું પ્રજાના કરોડો રૂપિયાથી હોસ્પિટલનું નબળુ બાંધકામ થયું છે?
ઓપરેશન થિયેટર શું શોભાના ગાંઠીયા માટે બનાવાયા છે?
હોસ્પિટલને પ્રજા માટે ખોલતા પહેલા કેમ પુરી તપાસ ન કરાઈ?
દર્દીઓ અને પ્રજાને અગવડ થાય તે પહેલાં અધિકારીઓ કેમ નથી કરતા કાર્યવાહી ?
SVP હોસ્પિટલના તંત્રને દર્દીઓની કેમ પડી નથી?
SVP હોસ્પિટલ સામે મેયર કે સત્તાધીશો કેમ મૌન છે?
બેજવાબદાર અધિકારીઓ સાથે તંત્રની છે કોઇ મીલીભગત?
શું સરકાર SVP હોસ્પિટલ ખાતે મોટી આફત સર્જાય તેની રાહ જોઇ રહ્યાં છે?
7 મહિના બાદ પણ હોસ્પિટલ સંપૂર્ણ રીતે કાર્યરત કેમ નહીં?
દર્દીઓને ખાનગી દવાખાના ભણી વાળવા મંછા છે?
વારંવાર કેમ ઓપરેશન થિયેટરોને કરવા પડે છે બંધ?
ઓપરેશન ન થતાં દર્દીઓના જીવન સામે ઉભા થતા જોખમ સામે કોણ જવાબદાર?
બેદરકાર અધિકારીઓ સામે કેમ નથી થતી કાર્યવાહી?
હોસ્પિટલના બિલ્ડર વિરુદ્ધ સરકારી તંત્ર કેમ નથી લેતુ પગલાં?