અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. શહેરમાં મધરાતે પડેલા વરસાદમાં નવનિર્મીત SVP હોસ્પિટલના 15માં માળે અચાનક પાણી ભરાતાં દર્દીઓને હાલાકી થઇ હતી. જ્યારે હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓની સારવારના બદલે કાઢવામાં વ્યસ્ત થઇ ગયો હતો.
શહેરમાં મોડી રાત્રે પડેલા વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખુલી ગઈ છે. રૂ.750 કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલના 15માં માળે પાણી ભરાયું હતું. અચાનક પાણી ભરાવા લાગતા હોસ્પિટલનો સ્ટાફ દોડધામ કરી પાણી કાઢવા લાગ્યો હતો. તેમાં પણ દર્દીઓના બેડના વોર્ડમાં જ પાણી ભરાતા દર્દીઓ પણ ભયમાં મુકાયા હતા.
હજુ 7 મહિના પહેલા જ શરૂ થયેલ હોસ્પિટલમાં આમ પાણી ભરાતાં તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે. હમણાં થોડા દિવસો આગાઉ SVP હોસ્પિટલની B-2 વોર્ડની POPની છત તૂટી પડી હતી. જેને પગલે દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ફરી પાણી ભરાવાની બેદરકારી સામે આવતાં તંત્રની પોલ ખુલી ગઈ છે.