રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને મોંઘીદાટ બ્રાન્ડેડ દવાની સરખામણીમાં સસ્તા ભાવની જેનરિક દવાના સ્ટોર અમદાવાદ સહિત ગુુજરાતમાં ઠેરઠેર ખૂલી રહ્યા છે અને રાજ્ય સરકાર પોતે આવા જેનરિક દવાના સ્ટોરને પ્રોત્સાહન આપે છે.
મ્યુનિસિપલ સંચાલિત વી.એસ. હોસ્પિટલમાં પણ જેનરિક દવાનો સ્ટોર છે પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે દેશની સૌથી અત્યાધુનિક પબ્લિક હોસ્પિટલ એસવીપીમાં જેનરિક દવાનો સ્ટોર હજુ કાર્યરત કરાયો નથી. કરોડો રૂપિયાના ટેન્ડરને ઉત્સાહભેર મંજૂર કરવા સત્તાધીશો વધુ રસ દાખવે છે બીજી બાજુ દર્દીઓ વધુ ચાર્જ ચૂકવવા ઉપરાંત મોંઘાભાવની દવા ખરીદવા મજબૂર બની રહ્યા તો એસવીપી હોસ્પિટલમાં જેનરીક દવાનો સ્ટોર ક્યારે શરૂ થશે તે પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે.
હજુ આઠ મહિના પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલનું દબદબાભેર લોકાર્પણ કરાયું હતું. જોકે આ હોસ્પિટલ પાણીના લીકેજ મામલે ભારે વિવાદાસ્પદ બની છે. ૧૮મા માળેથી પાણી પહેલા માળે આવેલા ચાર ઇમર્જન્સી ઓપરેશન થિયેટરમાં આવતાં આ ઓપરેશન થિયેટરને બંધ રાખવા પડ્યાં છે.
અગાઉ ૧૬મા માળે પણ રેસિડન્ટ ડોકટરોના રૂમમાં પાણી ઘૂસ્યાં હતાં. યુટિલિટી બિલ્ડિંગમાં એક ડોકટરની ઓફિસની પીઓપીની છત પણ ઓગસ્ટ માસના પ્રારંભે તૂટી પડતાં ઇજનેર વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. અગાઉ બી-ટુ વોર્ડમાં પીઓપીની છત પણ તૂટી પડી હતી. જોકે એસવીપી હોસ્પિટલના સત્તાવાળાઓએ ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો.
એસવીપી હોસિપટલમાં જે પ્રકારે વરસાદી પાણી ભરાઇ રહ્યાં છે અને પીઓપીના કામમાં વેઠ ઊતરી હોવાનું છતું થયું છે તેને જોતાં હોસ્પિટલના નિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. અગાઉ રૂ.૪પ૦ કરોડના ખર્ચે હોસ્પિટલ બાંધવાનું નક્કી થયું હતું.
પરંતુ તેની પાછળ રૂ.૭પ૦ કરોડથી વધુનો ખર્ચ થયો છે અને હજુ પણ આ હોસ્પિટલને લગતા વિભિન્ન કામના કરોડોના કામની દરખાસ્તને તંત્ર દ્વારા મંજૂરી અપાઇ રહી છે. પરંતુ સત્તાવાળાઓ દર્દીઓને વધુ દવાના વધુ ચાર્જ ચૂકવવા ઉપરાંત મોંઘા ભાવની દવા ખરીદવા વિવશ કરી રહ્યા છે. દર્દીઓને લૂંટવાની રીત-રસમ એસવીપી હોસ્પિટલમાં ખુલ્લેઆમ ચાલતી હોઇ સમગ્ર મામલો વિવાદાસ્પદ બન્યો છે.
હવે એસવીપી હોસ્પિટલમાં સામાન્ય દર્દીઓ માટે સસ્તા ભાવની દવા પૂરી પાડતી જેનરિક દવાના સ્ટોરના અભાવનો મામલો બહાર આવ્યો છે. જાણકાર સૂત્રો કહે છે, સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતી આ હોસ્પિટલમાં સત્તાવાળાઓએ દર્દીઓ માટે એર એમ્બ્યુલસન્સ સુવિધા માટે હેલિપેડ બનાવ્યું છે.
ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા દરેક દર્દીના મેડિકલ રેકોર્ડની જાળવણી માટે ખાસ પ્રકારના સોફટવેર બનાવાયા છે. પરંતુ ૧૮ માળની આ હોસ્પિટલના એક પણ માળમાં જેનરિક દવાનો સ્ટોર નથી. દરમ્યાન મ્યુનિ. હોસ્પિટલ કમિટીના ચેરમેન દેવાંગ દાણી કહે છે જેનરિક દવાના સ્ટોર માટે ગ્રાઉન્ડ ફલોર પર જગ્યા ફાળવાઇ છે અને રાજય સરકાર તરફથી સ્ટોર ઊભો કરવા માટે મંજૂરી પણ મેળવી લેવાઇ છે. જોકે દર્દીઓને જેનરિક દવાના સ્ટોરનો લાભ મળતા હજુ એકાદ મહિનાનો સમય લાગશે.