વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રિવરફ્રન્ટ તરફના પાછળના ભાગે આવેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં દર્દીઓનો હવે ધસારો થઇ રહ્યો છે અને ૧૦૮માં ગંભીર હાલતમાં આવતા દર્દીઓને પરત મોકલાઇ રહ્યા છે, જોકે શાસકોએ જનરલ બેડ અને આઇસીયુ બેડની સુવિધાનાં ચક્રો ગતિમાન કર્યાં છે, જેના કારણે આગામી પંદરેક દિવસમાં હાલના ૩૦૦ જનરલ બેડ ઉપરાંત વધુ ૧૮૦ બેડની સુવિધા દર્દીઓને મળતી થાય તેવી શક્યતા છે.
અત્યારે એસવીપી હોસ્પિટલમાં ભોંયતળિયે ૬૦ આઇસીયુ, બીજા અને ત્રીજા માળે ર૦-ર૦ આઇસીયુ મળીને કુલ ૧૦૦ આઇસીયુ બેડની વ્યવસ્થા છે. દર્દીઓ માટે ભોંયતળિયે પહેલા માળે ૩૦૦ જનરલ બેડ રખાયા છે, જોકે હોસ્પિટલના ચોથા અને પાંચમા માળનો કબજો મળી ગયો હોઇ આ બંને માળ ખાતે આગામી ૧પ દિવસમાં વધુુ ૪૦ આઇસીયુ બેડ અને ૧૮૦ જનરલ બેડનો લાભ દર્દીઓને મળતો થાય તેવી સંભાવના છે.
ગત તા.૧૭ જાન્યુઆરી, ર૦૧૯એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આશરે રૂ.૭પ૦ કરોડના ખર્ચે અત્યાધુનિક એસવીપી હોસ્પિટલનું ઉદ્દ્ઘાટન કરાયા બાદ તેની જનરલ અને આઇસીયુ બેડ તેમજ ઓપરેશન થિયેટરની સવલતમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યારે એસવીપીના ભોંયતળિયે, પહેલા, બીજા, ત્રીજા અને છઠ્ઠા માળે મળીને કુલ છ ઓટી કાર્યરત હોઇ દરરોજ પ૦થી વધુ નાનાં-મોટાં ઓપરેશન થઇ રહ્યાં હોવાનો દાવો તંત્ર દ્વારા કરાયો છે. અત્યારે ઓપીડીમાં દરરોજના ૮૦૦થી ૯૦૦ દર્દીઓ નોંધાઇ રહ્યા હોવાનો પણ તંત્રનો દાવો છે.
એસવીપી હોસ્પિટલમાં કુલ્લી મોટોરાઇઝ ૩૬ર આઇસીયુ બેડને રૂ.પ.૧૯ કરોડના ખર્ચે ખરીદવાનાં ચક્રો પણ ગતિમાન થઇ ચૂક્યાં છે. ગઇ કાલે મળેલી હોસ્પિટલ કમિટીમાં પ્રતિબેડ રૂ.૧.૪૪ લાખના ખર્ચે ખરીદવાની તંત્રની દરખાસ્તને મંજૂરી અપાઇ હતી.
દરમ્યાન હોસ્પિટલ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ એસવીપી હોસ્પિટલમાં આગામી પંદરેક દિવસમાં ૧૮૦ જનરલ બેડ ઉપરાંતના વધુ ૧પ૦ જનરલ બેડ જુલાઇના પહેલા અઠવાડિયામાં શરૂ થઇ જશે તેમ જણાવ્યું છે. તેઓ કહે છે, આ જનરલ બેડની મંજૂરી આચારસંહિતા પહેલાં મળી ગઇ હતી, જ્યારે અત્યારના આઇસીયુ બેડને પણ ટૂંક સમયમાં ફુલ્લી મોટોરાઇઝડ બેડમાં પરિવર્તન કરાશે.