ઉદ્યોગજગત માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સુઝલોન કંપનીના CMD તુલસી તંતીનું નિધન થયું છે. રાજકોટના પનોતા પુત્ર તુલસી તંતીના નિધનથી શોકનો માહોલ છવાઈ ગયો છે.
સુઝલોન એનર્જીના સ્થાપક તુલસી તંતીનું નિધન
મૂળ રાજકોટના તુલસી તંતીનું પુણે ખાતે થયું નિધન
ઔદ્યોગિક અને વેપાર જગતમાં ફરી વળ્યું શોકનું મોજું
સુઝલોન અનર્જીના સ્થાપક તથા ચેરમેન તુલસી તંતીનું હાર્ટ એટેકથી નિધન થતાં ઉદ્યોગિક અને વેપાર જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિન્ડ એનર્જી ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવનાર અને ભારતના વિન્ડ મેન તરીકે ઓળખાતા તુલસી તંતીએ 64 વર્ષની વયે પુણેમાં અંતિમ શ્વાસ લીધા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુઝલોન એનર્જીના સ્થાપક તથા ચેરમેન તુલસી તંતીને ગઈકાલે રાત્રે હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે. આ અંગે તેમની કંપની દ્વારા જાણકારી આપવામાં આવી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 2, 2022
સુઝલોન કંપની વિશે વાત કરીએ તો સુઝલોન એનર્જી વિન્ડ ટર્બાઈનના ઉત્પાદન અને સર્વિસિગ સાથે સંકળાયેલું મોટું નામ છે. તે દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની છે. સુઝલોન એનર્જી 17 જેટલા દેશોમાં 19 ગીગાવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ધરાવે છે. કંપનીએ 27 વર્ષ પહેલા પવન ચક્કીની શરૂઆત કરી હતી. સુઝલોન એનર્જી રાઈટ્સ ઈશ્યૂ દ્વારા બજારમાંથી 1200 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારીમાં હતી ત્યારે જ તુલસી તંતીનું અવસાન થવાથી મોટો ફટકો લાગ્યો છે.
પવન ઊર્જાના પ્રણેતા તુલસી તંતીનું અવસાન
મૂળ રાજકોટના તુલસી તંતીએ રાજકોટની પી.ડી.માલવિયા કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ કેન્દ્ર સરકારના રિન્યુએબલ એનર્જી ટાસ્ક ફોર્સના વડા હતા. તુલસી તંતીએ રાજકોટથી પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી. વર્ષ 2004માં તેઓ પુણે ગયા હતા. તેમણે વિન્ડ ફાર્મ ક્ષેત્રે સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ડંકો વગાડયો હતો.
તુલસી તંતીનો 1995માં ટેક્સટાઈલનો બિઝનેસ હતો. પરંતુ વિજળીની અછતના કારણે તેમને ઉત્પાદનમાં ઘટાડાનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારબાદ તેમણે વર્ષ 1995માં જ ટેક્સટાઈલ કંપનીની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે પવન ઉર્જા ઉત્પાદનમાં પગ મૂક્યો અને સુઝલોન એનર્જીની સ્થાપના કરી.
બાદમાં 2001માં તેમણે ટેક્સ્ટાઈલ બિઝનેસ વેચી નાખ્યો. સુઝલોનને કંપનીને 2003માં તેમને અમેરિકાની કંપની પાસેથી 24 વિન્ડ ટર્બાઈનના સપ્લાય માટે ઓર્ડર મળ્યો હતો. હાલમાં સુઝલોન એનર્જી 8536 કરોડની માર્કેટ કેપિટલ ધરાવે છે.