જૂનાગઢના વિસાવદરમાં તુવેરની ખરીદીમાં કૌભાંડ બહાર આવ્યા બાદ હવે ખેડૂત આગેવાનોએ તળાજામાં પણ તુવેરની ખરીદીમાં કૌભાંડ થયું હોવાની શંકા વ્યક્ત કરી છે. જો કે ખેડૂત આગેવાનોના આક્ષેપોને અહીંના ગોડાઉન મેનેજરે ફગાવી દીધા છે અને આક્ષેપ માત્ર રાજકીય લાભ ખટવા માટેના છે તમે જણાવ્યું હતું.
જૂનાગઢના વિસાવદરમાં તુવેરકાંડ પ્રકાશમાં આવ્યા બાદ હવે ખેડૂત આગેવાનોએ તળાજામાં પણ કૌભાંડ થયું હોવાની શંકા વ્યક્ત કરી છે. તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે અન્ન અને નાગરીક પૂરવઠા વિભાગ દ્વારા તારીખ 14/04/2019 સુધી ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. જે ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી કરવામાં આવી હોય તે ખેડૂતની ખરીદી કરતા પહેલા ખેડૂતના તુવેરના જથ્થામાંથી થોડીક તુવેર લઈ તેનું સેમ્પલ કરવાનું હોય છે. સેમ્પલિંગમાં અલગ અલગ 6 પેરા મિટર નક્કી કરેલા છે.
જો ખેડૂતનું સેમ્પલ મંજુર થાય પછી જ ખરીદી કરવાની હોય છે. આ સેમ્પલ થઈ ગયા બાદ તેને સીલ કરી સાચવી રાખવાનું હોય છે. આજે પણ તળાજા યાર્ડમાં તુવેરના 19 હજાર જેટલા થેલા પડ્યા છે. આજે સવારે ખેડૂત આગેવાનો તળાજાની માર્કેટિંગ યાર્ડમાં દોડી આવ્યા હતા અને કેટલાક સિલાઈ વગરના થેલાની પણ તપાસ કરી હતી.
આ સેમ્પલ રોજ રોજ સીલ કરી બેગમાં ભરી રાખી દેવાનું હોય છે. ત્યારે આશ્ચર્યની વાત એ છે કે 14/04/2019ના રોજ ખરીદીની પ્રક્રિયા પુરી થઈ ગઈ એને આજે 21 દિવસ વીતી ગયા બાદ રવિવારના દિવસે તળાજાની માર્કેટિંગ યાર્ડમાં સેમ્પલને સીલ કરવાની કામગીરી ચાલે છે. જે સૌથી મોટી શંકા ઉપજાવે છે તેમ ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું. આ બાજુ ગોડાઉન મેનેજરે જણવ્યું હતું કે આ કામમાં કોઈ કૌભાંડ થયું નથી. આગેવાનો માત્ર રાજકીય લાભ લેવા માટે આક્ષેપો કરી રહ્યાં છે. આ તુવેરના ખરીદીના મામલે કોઈપણ પાસે કે કોઈપણ સ્થળે તપાસ કરાવવા તૈયાર છીએ.