નવી દિલ્હીઃ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ કીર્તિ ઝા આઝાદ કોંગ્રેસમાં જોડાયા છે. બિહારના દરભંગાથી સાસંદ કીર્તિ આઝાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. કીર્તિ આઝાદે કહ્યું કે તેમણે જનતાના આદેશ પર કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે.
ભાજપ પર નિવેદનબાજી કરતા કીર્તિ આઝાદે કહ્યું કે એક ષડયંત્ર હેઠળ વગર કોઇ ગુનાએ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તેમણે કહ્યું કે છેલ્લા 10 મહિનાથી હું ગામે ગામ જઇને લોકોની પ્રતિક્રિયા લીધી. લોકોની સામે પોતાની વાત રાખી લોકોના કહેવા પર મેં કોંગ્રેસમાં જવાનો નિર્ણય લીધો છે.
જેટલી વિરૂદ્ધ બોલવા પર કરયા હતા સસ્પેન્ડ
જણાવી દઇએ કે કીર્તિ આઝાદને ભાજપે ત્યારે સસ્પેન્ડ કરી દીધા હતા જ્યારે તેઓ વારંવાર નાણામંત્રી અરૂણ જેટલી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા હતા. કીર્તિ આઝાદ ડીડીસીએમાં થયેલ કૌભાંડમાં નાણામંત્રી અરૂણ જેટલીને જવાબદાર ગણાવી રહ્યા છે.
જણાવી દઇએ કે કીર્તિ આઝાદ ક્રિકેટર રહી ચૂક્યા છે. તેઓ 1983માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા. કીર્તિ બિહારના પૂર્વ મુખ્યમંત્રી ભાગવત ઝા આઝાદના દીકરા છે. ભાગવત ઝા આઝાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા રહ્યા છે.