મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશમંત્રી રહી ચૂકેલા સુષમા સ્વરાજ હવે નથી રહ્યાં. પરંતુ તેમના રાજનીતિક કાર્યકાળ દરમિયાન દેશ માટે તેમણે આપેલું યોગદાન ઈતિહાસના પાના પર અમર થઈ ગયું છે. બુદ્ધીજીવી રાજનેતા હોવા સાથે તેઓ એક પ્રખર વક્તા પણ હતા. તેમણે સંસદ અને સંસદ બહાર આપેલા અનેક ભાષણો યાદગાર બની ગયા છે. પરંતુ તેમણે 11 જૂન 1996ના દિવસે કાશ્મીર મુદ્દે સંસદમાં આપેલું ભાષણ હજુ પણ અનેક ભારતીયોના કાનમાં ગૂંજી રહ્યું છે. ખાસ કરીને એ ભાષણ ધારા 370 નાબૂદીના ઉષાકાળે વધારે યાદ આવી રહ્યું છે. જોઈએ આ અહેવાલ.
પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના એક પ્રખર રાજનેતા તરીકે સુષમા સ્વરાજે ભારતના રાજનિતિક ઈતિહાસમાં એક અમીટ છાપ છોડી દીધી છે. સુષમા સ્વરાજ પોતાના રાજકીય કાર્યકાળ દરમિયાના અનેક હોદ્દાઓ પર રહ્યા. પરંતુ તેમણે મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશમંત્રી તરીકે તેમણે ભારતનો પરિચય વિદેશમાં કરાવ્યો તે પછી વિદેશોની ભારત તરફ જોવાની જાણે દ્રષ્ટી જ બદલાઈ ગઈ.
બિનસાંપ્રદાયિકતાના હતા વિશેષ આગ્રહીઃ
વાત વિદેશમાં ફસાયેલા આમ નાગરિકના તારણહાર બનવાની હોય કે, યુનોમાં ભારતનો પક્ષ મૂકવાની હોય. વાત સંસદમાં વિપક્ષને આડે હાથ લેવાની હોય કે ચૂંટણી સભામાં લોકોની સ્વીકૃતિ મેળવવાની હોય સુષ્મા સ્વરાજ હંમેશા સફળ રહ્યાં છે. તેઓ એક પ્રખર વક્તા તો હતા જ સાથે બિનસાંપ્રદાયિકતાના એટલા જ આગ્રહી પણ હતા. તેમની રામરાજ્યની કલ્પનાનો પાયો બિનસાંપ્રદાયિકતા જ હતો. 1996માં અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયા બાદ વાજપેયી સરકાર પડી ગઈ હતી. વાજપેયીના રાજીનામા બાદ સુષ્મા સ્વરાજે સંસદમાં ભાષણ આપ્યું હતું. તેમણે વાજપેયીના રાજીનામાની મજબૂરીને સ્વરાજનો પાયો નંખાયો હોવા સાથે ઓળખાવ્યું હતું.
હકીકતમાં પોતાના સંપૂર્ણ રાજકીય કાર્યકાળ દરમિયાન કાશ્મીર મુદ્દો સુષમા સ્વરાજના હૃદયની ખૂબ નજીક રહ્યો. વિદેશ મંત્રી તરીકે પણ સુષમા સ્વરાજ હંમેશા કાશ્મીર બાબતે સક્રિય રહ્યાં. સુષમા સ્વરાજને એ વાતની પાકી ખાતરી હતી કે, દેશ જ્યારે એક અવાજે સાથ આપશે ત્યારે એ દિવસો દૂર નથી કે, કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370 એક ઈતિહાસ બની જશે.
તેમણે પોતાના ભાષણોમાં પણ અવાર નવાર એક દેશમાં બે ઝંડાનો અને દેશને આતંકનો જખમ આપનારી કલમ 370ને હટાવવાનો વિચાર રજૂ કર્યો હતો. કેમ કે તેઓ એમ માનતા હતા કે, ધર્મનિરપેક્ષતાની આડમાં કેટલાંક લોકો પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યાં છે. આથી જ તમણે ધર્મનિરપેક્ષતા વિશે ચર્ચા થવી જોઈએ તેવો સંસદમાં પણ અવાજ ઉઠાવ્યો હતો.
370ની કલમ હટાવવાના હતાં વિશેષ આગ્રહીઃ
વર્ષ 1996માં સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલવા માટે ઊભા થયા તેમણે સાંપ્રદાયિતા અંગે વિપક્ષી નેતાઓની નિયત પર સવાલ ઉઠાવ્યા હતા. સુષમા સ્વરાજે તે વખતે પોતાના ભાષણમાં જે કહ્યું હતું તે આજે સરકારે કરેલી કલમ 370ની નાબૂદી માટે જાણે પાયારૂપ શબ્દો હતા. સુષમા સ્વરાજે સંસદ સામે કહ્યું હતું કે હાં અમે સાંપ્રદાયિક છીએ કેમકે અમે ધારા-370 રદ કરવા માગીએ છીએ. હાં અમે સાંપ્રદાયિક છીએ કેમકે અમે દેશમાં જાતિ-પંથનો ભેદભાવ દૂર કરવા માગીએ છીએ. સુષમા સ્વરાજે પોતાના ભાષણ દ્વારા સદનને એ સમજાવ્યું હતું કે, તેઓ આર્ટિકલ -370 કેમ હટાવવા માગે છે.
લોકસભામાં વિપક્ષના શોરબકોર વચ્ચે પોતાના બુલંદ અવાજમાં બોલતા સુષમા સ્વરાજે કાશ્મીર બાબતે ભાજપના નિર્ણયનો પાયો નાખ્યો હતો. જેને ગયા સોમવારે પીએમ મોદી અને અમિત શાહે સાકાર કરી બતાવ્યો. છેલ્લે સુધી કાશ્મીરની ચિંતા કરનારા સુષમા સ્વરાજને આખરે એ દિવસના સાક્ષી બની ગયા જ્યારે કાશ્મીરમાંથી 370 કલમ દૂર થઈ ગઈ. તેમણે આ બિલ લોકસભામાં પાસ થયા બાદ એક ટ્વિટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. પોતાની ટ્વિટમાં સુષમા સ્વરાજે લખ્યું હતું. પ્રધાનમંત્રીજી તમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન! હું મારા જીવનમાં આ દિવસ જોવાની રાહ જોઈ રહી હતી.
આ ટ્વિટ બાદ થોડા સમયની અંદર જ સુષમા સ્વરાજને કાર્ડીયાક એરેસ્ટ આવ્યો. તેમને એઈમ્સમાં ભરતી કરાયા પરંતુ કુદરતને કંઈક જુદુ જ મંજૂરી હતું. જે દિવસની તેમણે પ્રતિક્ષા કરી હતી એ ઐતિહાસિક ઘડીના માત્ર થોડા કલાકોમાં તેઓ વિદાય લઈ લેશે તેની કોઈએ કલ્પના ન હોતી કરી.