સુષમા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યાં પરંતુ તેમની યાદો પ્રત્યેક ભારતવાસીઓના દિલમાં કાયમ રાજ કરશે. ખાસ કરીને એ લોકો મમતામયી મૂર્તિ સુષમા સ્વરાજને નહીં વીસરી શકે કે જેને આપત્તિકાળમાં સુષમા સ્વરાજની મદદ મળી હતી. આપણે વાત કરવી છે સુરતના એક અગ્રવાલ પરિવારની કે જે વતનથી હજારો કિલોમીટર દૂર હતો જ્યાં સુષમા સ્વરાજની મદદનો હાથ પહોંચ્યો હતો. ત્યારે જોઈએ આ અહેવાલ.
નાગરિકોના દિલમાં સદાય જીવિત રહેશેઃ
આજે આપણી વચ્ચે સુષમા સ્વરાજ નથી રહ્યાં. રાજપુરુષો કદાચ તેમને એક પ્રખર રાજદ્વારી તરીકે યાદ રાખશે. પરંતુ દેશના સામાન્ય નાગરિકોના દિલમાં તેઓ એક સાચા જન્મમિત્ર તરીકે હંમેશા જીવતા રહેશે. એક વિદેશ મંત્રી તરીકે સુષમા સ્વરાજે પોતાની મદદનો હાથ સમગ્ર દુનિયામાં ફેલાવી દીધો હતો. કોઈ પણ ભારતીય દુનિયાના કોઈ પણ ખૂણે મુસીબતમાં ફસાયો હોય અને સુષમા દીદીને એક ફોન મળ્યો હોય કે ટ્વિટ દ્વારા મદદની માગણી કરાઈ હોય તો વિના વિલંબે સુષમાજીની મદદ મળી જતી.
આવી જ એક મદદ સુષ્મા સ્વરાજે સુરતના વેસુ વિસ્તારમા રહેતા અગ્રવાલ પરિવારને પણ પણ કરી હતી. અગ્રવાલ પરિવારના સંદિપભાઇ પોતાના પરિવાર સાથે 4 માર્ચ 2019ના રોજ ન્યુઝિલેન્ડ ફરવા માટે ગયા હતા. જ્યા તેમની કારનો અકસ્માત નડયો હતો. અકસ્માત થતાની સાથે જ સંદિપના પિતા હિમાંશુભાઇએ તત્કાલિન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટવીટ કરી મદદ માંગી હતી.
માત્ર અડધા કલાકમાં ગુજરાતી પરિવારને અપાવ્યો પાસપોર્ટઃ
ટ્વિટ મળતાની સાથે જ સુષ્મા સ્વરાજે અડધો કલાકની અંદર ન્યુઝિલેન્ડની એમબેસીને જાણ કરી મદદની ભલામણ કરી હતી. જેની અસરરૂપે તાત્કાલિક ધોરણે ન્યુઝિલેન્ડ સરકાર દ્વારા અગ્રવાલ પરિવારને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં, ત્યાંની સરકાર દ્વારા જપ્ત કરાયેલા પાસપોર્ટ પણ સુષ્મા સ્વરાજની મદદથી પાછા આપી દેવામાં આવ્યાં હતાં. આજે આપણી વચ્ચે સુષ્મા સ્વરાજ નથી રહ્યાં પરંતુ તેમની એ મદદને આજે પણ અગ્રવાલ પરિવાર યાદ કરી રહ્યો છે.
સુષમા સ્વરાજ માત્ર પ્રખર રાજદ્વારી નેતા ન હતા. તેમનામાં માનવજાત માટે ઉષ્માસભર માયાળું હૃદય પણ ધબકી રહ્યું હતું. જેનો વખતો વખત અનેક નાગરિકોને પરિચય કરાવ્યો હતો. આજ તેઓ આપણી વચ્ચે નથી પરંતુ તેમનો માનવતાવાદી સ્વભાવ કાયમ યાદ રહેશે.
વડોદરાનું આ પરિવાર આજે રહ્યું ભોજન વિનાઃ
બીજી બાજુ વડોદરાના પંડ્યા પરિવારમાં પણ આજે શોકનો માહોલ છે. આજે એ સભ્યોએ ભોજન પણ લીધું નથી. કેમ કે આ પરિવાર માટે એક મદદગાર મોભી બનેલા એવા સુષમા સ્વરાજ ચિર વિદાઈ લઈ ગયા છે. જો કે, આ પરિવાર એક પણ વખત સુષમાજીને રૂબરૂ મળ્યો નથી પરંતુ સુષ્માજીની મદદ આ પરિવાર માટે એક સમયે જીવનનો આધાર બની ગયો હતો. પંડ્યા પરિવારમાંથી સંકેત પંડ્યા 2016માં ઈરાનમાં ફસાયા હતા અને 14 મહિના થવા છતાં મુક્ત થઇ શક્યા ન હતા. ત્યાર બાદ ભારતમાં સરકાર બદલાઇ અને સુષ્મા સ્વરાજ વિદેશ પ્રધાન બન્યા. આ પરીવારની મુશ્કેલી સુષમાજીના ધ્યાનમાં આવી અને સુષ્મા સ્વરાજે સંકેત પંડ્યાને પરત લાવવા માટે મદદ કરી હતી.
ભલે આ પંડ્યા પરિવારને મદદની દેવી જેવા સુષમા સ્વરાજના ક્યારેય રૂબરૂ દર્શન ન થયા હોય પરંતુ મુક્તિ દાતા બનીને સંકેત પંડ્યાને ઈરાનથી પરત લાવવા માટે સુષ્મા સ્વરાજ બે કલાક માટે ઈરાન ગયા હતા અને સંકેત ને મુક્ત કરાવવાની કાર્યવાહી કરી હતી. ત્યારે આજે આ પરિવારે જાણે પોતાનું સ્વજન ગુમાવ્યું હોય તેવી લાગણી અનુભવી રહ્યાં છે.