ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી એક સુષ્મા સ્વરાજ નથી રહ્યા. પીએમ નરેન્દ્ર મોદીની મજબૂત આંતરરાષ્ટ્રીય કૂટનીતિની આધારશિલા રાખનાર સુષ્મા સ્વરાજના વિદેશમંત્રી તરીકેનો કાર્યકાળ તેમના ટીકાકારોને પણ ચુપ કરાવી દે છે. જોકે બહુ ઓછા લોકો જાણતા હશે કે નરેન્દ્ર મોદીની ટીકા કરનાર સુષ્મા કેવી રીતે તેમના મંત્રીમંડળમાં ટોપ પર્ફોર્મિંગ મંત્રી બની ગયા.
રાજનૈતિક જાણકારોનું માનવું છે કે સુષ્માએ પોતાનામાં મોટો બદલાવ કર્યો અને એમણે વિદેશ મંત્રી તરીકે સારું કામ કરવા છતાં લો પ્રોફાઇલ બની રહ્યા. બીજેપીના સૌથી મોટા નેતાઓમાં સામેલ સુષ્માએ મોદીની સાથે કામ કરવા માટે પોતાને બદલ્યા અને તેમાં સુષ્મા યોગ્ય રીતે ફિટ થતા આગળ વધતા ગયા.
વાત છે મે 2014ની. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આગળ કરીને બીજેપી કેન્દ્રની સત્તામાં આવી હતી. ટીમ મોદીના બ્રેન અરુણ જેટલી એ કવાયતમાં હતા કે મોદીના મંત્રીમંડળનું સ્વરૂપ કેવું રહેશે. આ મામલે કેટલાક લોકો માનતા હતા કે સુષ્મા સ્વરાજ એ વાતને લઇને આશ્વસ્ત નહોતા કે મોદીના મંત્રીમંડળમાં જગ્યા મળશે કે નહીં.
સુષ્મા અને જેટલીની પ્રતિદ્વંદ્વિતાની પણ ચર્ચા થતી હતી. આ ઉપરાંત આરએસએસ અને મોદી સાથે પણ સુષ્માની ખાસ વાતચીત નહોતી થતી. કહેવામાં આવે છે કે 2013માં જ્યારે મોદીને પીએમ કેન્ડિડેટ બનાવવાનું એલાન થયું હતું તો વિરોધ દર્શાવનાર લાલકૃષ્ણ અડવાણીને સુષ્માએ પણ સમર્થન આપ્યું હતું.
2002માં પણ સ્વરાજે અટલ બિહારી વાજપેયીનું સમર્થન કર્યું હતું. જ્યારે તત્કાલીન પીએમે ગુજરાતમાં રમખાણો બાદ મોદીને 'રાજધર્મ'નું પાલન કરવાની સલાહ આપી હતી. જોકે સ્વરાજે મોદીને 2013માં પોતાના નેતા સ્વીકાર કર્યા હતા. સ્વરાજને મંત્રાલય મળ્યું પરંતુ સરકારમાં તેમની ઓળખ નંબર 3ની હતી. એમને રાજનાથ સિંહ બાદ ત્રીજા નંબરે શપથ અપાવવામાં આવ્યા, જે અનુભવમાં તેમનાથી જૂનિયર હતા.
કહેવામાં આવે છે કે શરૂઆતના મહીના સ્વરાજ માટે ખૂબજ મુશ્કેલીભર્યા બની રહ્યા. મોદી પોતાની વિદેશ કૂટનીતિ માટે પ્રશંસા મેળવતા રહ્યા જ્યારે સ્વરાજ પડદા પાછળ લો પ્રોફાઇલ બનીને કામ કરતા રહ્યા. 31 મે જ્યારે સ્વરાજે એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો તો મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમની સફળતાનું કારણ પ્રેસથી દૂર રહેવું અને એ કામ કરવું, જેની જવાબદારી સોંપવામાં આવી છે.
કહેવામાં આવે છે કે સ્વરાજ પોતાના વિદેશ મંત્રીના કાર્યકાળ દરમિયાન એ સુનિશ્ચિત કરતા રહ્યા કે એવી કોઇ અટકળોના જન્મે કે તે ક્યારેય પીએમ પદની દાવેદાર બની શકે છે. માનવામાં આવે છે કે અડવાણી સાથે ભાવનાત્મક સંબંધોને પગલે એમને આગળ જતા પીએમ પદના સંભાવિત કેન્ડિડેટમાં સામેલ ન હોવા તરીકે કિંમત ચૂકવવી પડી.
હવે વાત કરીએ હાલના વર્ષોમાં મોદી અને સુષ્માના બદલતા સંબંધોની. એવું કહેવાય છે કે જ્યારે લલિત મોદી સાથે સંબંધોને લઇને સુષ્મા અને તેમનો પરિવાર નિશાન પર હતા, એ સમયે પીએમ નરેદ્ર મોદી મજબૂતીથી સુષ્મા સ્વરાજ સાથે ઉભા રહ્યા હતા. જ્યારે સુષ્માએ પણ પોતાને મળેલ જવાબદારી યોગ્ય રીતે નિભાવી હતી. એ મહેનતુ હતા, જટીલ મામલાની સમજ હતી. એમને યાદશક્તિ સારી હતી તથા ઘણી ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા.
સુષ્માએ પાસપોર્ટ અને વિઝા જેવા સામાન્ય લોકો સાથે જોડાયેલા મુદ્દા ઉકેલ્યા. ઉપરાંત સુષ્માએ વિદેશ પ્રવાસ કરી વિભિન્ન દેશો સાથે સંબંધો પણ સારા બનાવતા રહ્યા. એમણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોની મદદ કરી. ટ્વિટર પર મદદ માંગનાર માટે આખું સરકારી તંત્ર લગાવી દેનાર સુષ્મા સ્વરાજે થોડાક સમયમાં જ મોદી સરકારના સૌથી સફળ મંત્રીઓમાં પોતાનું નામ સામેલ કર્યું.