પૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજનું મંગળવારના રોજ હૃદય રોગ આવતાં દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 67 વર્ષના હતા અને છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત સારી નહોતી. ભાજપના દિગ્ગજ નેતા અને સ્પષ્ટ વક્તા સુષમા સ્વરાજનું રાજકીય જીવન શાનદાર રહ્યું.
જમ્મૂ-કાશ્મીર પૂનર્ગઠન બિલ સંસદમાં પસાર થઇ ગયું અને કાશ્મીરને લઇને દેશમાં ચર્ચા ચાલતી હતી. બિલ પસાર થયા બાદ સુષમા સ્વરાજે ટવિટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યાં.
વિદેશ પ્રધાન હતા ત્યારે સુષમા સ્વરાજે પોતાના સૌથી વધુ પ્રશંસનિય ભાષણમાં 2016ના સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે કડક ચેતવણી આપી હતી. તેમના આ ભાષણની દેશભરમાં ચર્ચા થઇ હતી. ભારતમાં વિપક્ષી પાર્ટીઓએ પણ સુષમા સ્વરાજની પ્રશંસા કરી હતી.
યુએનમાં હિન્દીમાં આપેલા ભાષણમાં સુષમા સ્વરાજે કહ્યું હતું કે 'કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, ભારતનો એક ભાગ છે અને ભારતનો જ ભાગ રહેશે. આતંકવાદ મુદ્દા પર સુષમા સ્વરાજે કહ્યું હતું કે દુનિયાના કેટલાક દેશોને આતંકવાદીને પનાહ આપવાનો શોખ છે.
સુષમા સ્વરાજે બીજી વખત યુએનમાં ભાષણ આપતાં પાકિસ્તાનને ફરી આડે હાથે લીધું હતું. પાકિસ્તાને જેહાદી અને દહેશતગર્દોને પેદા કર્યાં છે. આતંકવાદને પનાહ આપનારા આવા દેશને અલગ-થલગ કરવાનો સમય આવી ગયો છે. પોતાના લાંબા રાજકીય કેરિયરમાં સુષમા સ્વરાજ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને આડે હાથ લેતી રહી હતી.