1996માં જ્યારે અટલ બિહારી વાજપેયની 13 દિવસની સરકાર બની ત્યારે સુષમા સ્વરાજ તેમા મંત્રી બનાવામાં આવ્યાં હતા. તેમણે ભાજપના તત્કાલિન દિગ્ગજ નેતાઓ અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો. તેઓ સ્વાસ્થ્ય મંત્રી, સૂચના પ્રસારણ મંત્રી અને વિદેશ મંત્રી રહ્યાં હતા.
પોતાની ખાસ આગવી શૈલીને લઇને હંમેશા લોકોના દિલ જીતનારા સુષમા સ્વરાજે આમ તો ઘણા બધા સારા ભાષણ કર્યાં છે. પરંતુ લોકસભામાં તારીખ 11-06-1996ના રોજ કરેલ ભાષણને ક્યારેય ભુલાવી શકાશે નહીં.
તેમણે કરેલું આ ભાષણ પહેલી વખત ઐતિહાસિક બની ગયું હતું. જે લોકોએ આ ભાષણ સાંભળ્યું તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ ભાષણમાં તેમણે વિરોધપક્ષને આડે હાથે લીધા હતા.
સુષમા સ્વરાજે આ ભાષણમાં મંથરા અને શકૂનીને લઇને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ત્રેતા યુગમાં આવી ઘટના રામ સાથે થઇ હતી. રાજતિલક કરતાં-કરતાં તેમને વનવાસ મોકલી દેવામાં આવ્યાં હતા.
દ્વાપર યુગમાં આવી જ ઘટના યુધિષ્ઠર સાથે થઇ હતી. શકૂનીની કૂટનીતિએ યુધિષ્ઠિરને રાજ્યથી દૂર કરી દીધા હતા. જો એક મંથરા અને એક શકૂની રામ અને યુધિષ્ઠિરને સત્તામાંથી બહાર કરી શકે છે તો અમારી સામે કેટલી મંથરા અને કેટલા શકૂની છે. અમે રાજસત્તામાં કેવી રીતે ટકી શકીએ છીએ.